બનાસકાંઠામાં વિકાસ કામોની સમીક્ષા માટે સંકલન સમિતિની બેઠક મળી
- સંકલન સમિતિની બેઠકમાં કલેકટરએ જરૂરી સુચનાઓ આપી
- સંકલન સમિતિની બંઠકમાં રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નો પર ચર્ચા કરાઈ
- નર્મદાના પાણીથી વાવ, ભાભર અને સુઈગામ તાલુકાના તળાવો ભરાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લામાં ચાલતા વિકાસના કામોની સમિક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. રોડ-રસ્તા, પાણી, કેનાલ સફાઈ અને નેશનલ હાઇવે અંગેની રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી. તકેદારી અને પેન્શન જેવી બાબતો પર ત્વરિત કામગીરી કરવાની તાકીદ કરી હતી.
પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા કલેકટરે તમામ તાલુકા વાઈઝ વિકાસના ચાલતા કામોની સમિક્ષા કરીને જરૂરી સુચનાઓ આપી હતી. ઉનાળાની અસહ્ય ગરમીમાં પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારો વગેરે વ્યવસ્થાની માહિતી લીધી હતી. તેમજ રોડ-રસ્તા, પાણી, કેનાલ સફાઈ અને નેશનલ હાઇવે અંગેની રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સુઈગામ અને વાવ તાલુકા પંચાયતના નવા મકાનની મંજૂરી, ટ્રાફિક સમસ્યા, વૃક્ષારોપણ અને પાણીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અટલ ભૂજલ યોજના અને CSR ફંડની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નર્મદાના પાણીથી વાવ, ભાભર અને સુઈગામ તાલુકાના તળાવો ભરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા અને વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. તમામ સ્તરે સંકલન કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.