કોંગ્રસના નેતા રાહુલ ગાંધી 40 દિવસ બાદ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે
- સુરતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની શિબિરમાં હાજરી આપશે,
- આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને પક્ષપલટો કરાવી કોંગ્રેસમાં લવાશે,
- પ્રથમવાર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક એક સાથે કરવામાં આવશે
સુરતઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં હાજરી આપશે, જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા પ્રમુખોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સુરત શહેર અને જિલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે કોંગ્રેસની મિશન 2027ની તૈયારીઓનો ભાગ માનવામાં આવી રહ્યો છે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર વચ્ચે સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં હાજરી આપશે, જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ દ્વારા વર્ષ 2027ની ચૂંટણી માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ તેઓ કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ આ નેતાઓનું સ્વાગત કરવા અને ચૂંટણીમાં તેમને ઉમેદવારી આપવા પણ તૈયાર છે. આમ આદમી પાર્ટીના નેતાઓને હવે સમજાયું છે કે આ પાર્ટીમાં તેમનું કોઈ ભવિષ્ય નથી અને જો તેમને રાજકારણ કરવું હોય તો કોંગ્રેસ સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. હાલમાં જ કચ્છ, ગાંધીનગર અને અમદાવાદના AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે, જે દર્શાવે છે કે આ ભંગાણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
રાહુલ ગાંધીની મુલાકાતનો મુખ્ય હેતુ મિશન 2027ની તૈયારીઓ માટે જિલ્લા પ્રમુખોને તાલીમ આપવાનો છે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 10 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામમાં રાહુલ ગાંધી એક દિવસ માટે હાજર રહેશે અને તેઓ જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને માર્ગદર્શન આપશે. આ સાથે જ પ્રથમવાર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક એક સાથે કરવામાં આવશે, જે પાર્ટીને સ્થાનિક સ્તરે વધુ મજબૂત બનાવવાની રણનીતિનો ભાગ છે.