સુરેન્દ્રનગરમાં સિટી બસના ડ્રાઈવર-કંડકટરોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી
- બસના કોન્ટ્રાકટર એજન્સીને મ્યુનિએ બિલ ન ચૂકવતા કર્મચારીઓ પગારથી વંચિત,
- એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર ૨૫૦/- પ્રતિદિન માનદ વેતન અપાતુ હોવાનો આક્ષેપ,
- મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓને રજુઆત
સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સિટી બસ ચલાવવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર એજન્સી દ્વારા છેલ્લા એક વર્ષથી નિયમિત પગાર કરવામાં આવતો નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવવામાં આવ્યા બાદ બસના ડ્રાઈવર અને કંડકરોને પગાર ચૂકવવામાં આવતો હોય છે. પણ છેલ્લા ત્રણ મહિનાથી ડ્રાઈવર-કંડકટરો અને બસ સેવાના અન્ય કર્મચારીઓને પગારથી વંચિત છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને રજુઆત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરમાં સિટી બસની સુવિધા ઓગસ્ટ 2024થી શરૂ કરવામાં આવી છે અને તેનું સંચાલન ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવે છે. સીટી બસના કર્મચારીઓના કહેવા મુજબ, પગાર ચૂકવવામાં વિલંબ અંગે એજન્સીના અધિકારીઓને પૂછવામાં આવતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બિલનું ચુકવણું ન થયું હોવાથી અથવા બિલ પાસ ન થયું હોવાનો જવાબ આપે છે. કર્મચારીઓમાં ઘણી મહિલા કંડક્ટરો પણ સામેલ છે, જેઓ મધ્યમ વર્ગમાંથી આવે છે. સમયસર પગાર ન મળવાને કારણે તેમને પોતાનું ઘર-પરિવાર ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.
સિટી બસના કર્મચારીના કહેવા મુજબ હાલમાં ખાનગી એજન્સી દ્વારા કર્મચારીઓને માત્ર રૂપિયા 250 પ્રતિ દિન માનદ વેતન આપવામાં આવે છે, જે આજના મોંઘવારીના સમયમાં અત્યંત ઓછું વેતન છે. તેમજ કોઈ પણ કર્મચારીને પીએફનો લાભ મળતો નથી કે પીએફ એકાઉન્ટ પણ જનરેટ કર્યું નથી. આ અંગે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કર્મચારીઓની માગ છે. પગાર વધારાની રજૂઆત અંગે પણ એજન્સીના અધિકારીઓ મ્યુનિ તરફ દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, કે પગાર વધારો મ્યુનિ દ્વારા કરવામાં આવશે તો જ કરીશું. આ અંગે મ્યુનિ. કમિશનર તાત્કાલિક દખલગીરી કરી કર્મચારીઓનો પગાર સમયસર ચૂકવાય તેમજ પીએફ સહિતના તમામ કાયદાકીય લાભો મળે તે માટે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.