For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેવઘર બસ અકસ્માત પર મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો

02:23 PM Jul 29, 2025 IST | revoi editor
દેવઘર બસ અકસ્માત પર મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો
Advertisement

નવી દિલ્હીઃ ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોકમાં મંગળવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માત જમુનિયા ચોક પાસે ત્યારે થયો જ્યારે કાંવડિયાઓથી ભરેલી બસ ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને 'X' પોસ્ટ કરીને અકસ્માતમાં જીવ ગુમાવનાર શ્રદ્ધાળુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી..

Advertisement

તેમણે કહ્યું, "આજે સવારે દેવઘરના મોહનપુર બ્લોકના જમુનિયા ચોક પાસે બસ દુર્ઘટનામાં બસમાં સવાર શ્રદ્ધાળુઓના મૃત્યુના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય સાથે ઘાયલોને તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. બાબા બૈદ્યનાથ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના આત્માને શાંતિ આપે અને શોકાતુર પરિવારજનોને દુઃખની આ ઘડી સહન કરવાની શક્તિ આપે."

પ્રારંભિક માહિતી અનુસાર, બસની સીધી ટક્કર ગેસ સિલિન્ડર લઈ જઈ રહેલા એક ટ્રક સાથે થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસના ફુરચા ઊડી ગયા. કાંવડિયાઓથી ભરેલી બસ અને ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 9 યાત્રીઓના મોત થયા છે. આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે. તેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ટ્રાફિક ડીએસપી લક્ષ્મણ પ્રકાશે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ઘણા ઘાયલોની સ્થિતિ નાજુક બની રહી છે. જિલ્લા પ્રશાસનને સતર્ક કરવામાં આવ્યું છે અને ઘાયલોને દેવઘર સદર હોસ્પિટલ ઉપરાંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, અકસ્માત એટલો ભયાવહ હતો કે બસના ફુરચા ઊડી ગયા હતા. ટક્કર બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘણા શ્રદ્ધાળુઓ બસની અંદર જ ફસાયેલા રહી ગયા હતા, જેમને બહાર કાઢવા માટે પોલીસ અને એનડીઆરએફની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

બસમાં લગભગ 35 શ્રદ્ધાળુઓ સવાર હતા, જેઓ શ્રાવણી મેળા દરમિયાન બાબા બૈદ્યનાથ ધામમાં જળ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી દેવઘર આવી રહ્યા હતા. આ દરમિયાન જમુનિયા પાસે સામેથી આવી રહેલા ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે તેમની બસની સીધી ટક્કર થઈ. ઘણા શ્રદ્ધાળુઓને સામાન્ય ઈજાઓ પણ થઈ છે, જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે. આ હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની માહિતી મળતા જ હોસ્પિટલ પહોંચ્યા છે.

Advertisement
Tags :
Advertisement