IRCTC ભ્રષ્ટાચાર કાંડમાં લાલુ, રાબડી અને તેજસ્વી સામે ચાર્જફેમ કરાયો
નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત વચ્ચે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. IRCTC કૌભાંડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સામે આરોપ નક્કી કર્યા છે. આ મામલો લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે IRCTCના બે હોટલના મેન્ટેનન્સના કરારમાં થયેલી ગડબડીઓ સાથે જોડાયેલો છે. CBIએ લાલુ, રાબડી અને તેજસ્વી સામે છેતરપિંડી, ગુનાહિત સાજિશ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
શનિવારે કોર્ટમાં લાલુ, રાબડી અને તેજસ્વી યાદવ વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા. કોર્ટએ જણાવ્યું કે, સાક્ષીઓ અને પુરાવાઓના આધારે આરોપ નક્કી કરવા માટે પૂરતા કારણો છે. કોર્ટએ લાલુ પ્રસાદ યાદવ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act)ની કલમ હેઠળ આરોપ નક્કી કર્યા છે, જ્યારે ત્રણેય સામે IPC કલમ 420 (છેતરપિંડી) અને 120B હેઠળ કેસ ચાલશે. કોર્ટે લાલુ યાદવને પૂછ્યું કે “શું તમે તમારો ગુનો સ્વીકારો છો?” — તે પર લાલુ, રાબડી અને તેજસ્વીએ ગુનો સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે તેઓ કાયદેસરની લડત લડશે. રાબડી દેવીએ કહ્યું કે “આ કેસ ખોટો છે.”
લાલુ પરિવાર સામે બીજો મહત્વનો કેસ “લૅન્ડ ફૉર જોબ” એટલે કે જમીનના બદલે નોકરી આપવાનો કૌભાંડ છે. CBIના જણાવ્યા મુજબ, લાલુ પ્રસાદ યાદવ જ્યારે 2004 થી 2009 દરમિયાન રેલ્વે મંત્રી હતા, ત્યારે બિહારના કેટલાક લોકોને રેલ્વેમાં ગ્રુપ Dની નોકરી આપવામાં આવી હતી, અને તેના બદલામાં તેમની જમીન લાલુ પરિવાર અથવા તેમના સ્વામિત્વ હેઠળની કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી.