કેન્દ્ર સરકારે બિહારને નવી ટ્રેનોની ભેટ આપી
પટનાઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહારને નવી ટ્રેનોની ભેટ આપી છે. બિહારની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક સાથે પાંચ નવી ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી. જેમાં ચાર અમૃત ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
પટના અને દિલ્હી વચ્ચે દરરોજ અમૃત ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવશે. દરભંગા-લખનૌ અને માલદા ટાઉન-લખનૌ વચ્ચે સાપ્તાહિક એક અમૃત ભારત ટ્રેન દોડશે. તેવી જ રીતે, સહરસા અને અમૃતસર વચ્ચે અમૃત ભારત ટ્રેન દોડાવવામાં આવશે અને જોગબનીથી તમિલનાડુના ઇરોડ સુધી એક નવી અમૃત ભારત ટ્રેન દોડાવવામાં આવશે.
રેલવે મંત્રીએ કહ્યું કે, ટૂંક સમયમાં બિહારના કેટલાક નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવશે, જેમાં રૂ. 1,156 કરોડના ખર્ચે 53 કિમી લાંબી ભાગલપુર-જમાલપુર ત્રીજી લાઇનનો સમાવેશ થાય છે; રૂ. 2,017 કરોડના ખર્ચે 104 કિમી લાંબી બખ્તિયારપુર-રાજગીર-તિલૈયાનું ડબલિંગ; અને 3,000 કરોડ રૂપિયાના ખર્ચે 177 કિલોમીટર લાંબા રામપુર હાટ-ભાગલપુરના ડબલિંગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, બિહારમાં ટૂંક સમયમાં બે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડિયા (STPI)નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આમાં પાટલીપુત્રમાં 53 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા STPI અને દરભંગામાં 10 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા STPIનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, રેલવે દેશના વિકાસ માટે સમર્પિત છે. છેલ્લા 11 વર્ષમાં 33,000 કિલોમીટરથી વધુ નવી રેલવે લાઈનો નાખવામાં આવી છે.
અગાઉ, રેલવે મંત્રીએ બિહારના અનેક રેલવે સ્ટેશનોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. પટનાથી શરૂ થયેલા નિરીક્ષણ પ્રવાસમાં હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર અને સોનપુર વિભાગના સ્ટેશનો પણ શામેલ હતા. રેલવે મંત્રીએ કહ્યું કે, બિહારના લોકોની સરળ અવરજવર માટે પીએમ ઘણી નવી ટ્રેનોની ભેટ આપી રહ્યા છે. તેમની સાથે ધારાસભ્ય સંજીવ ચૌરસિયા, રેલવે જનરલ મેનેજર છત્રસાલ સિંહ અને ડીઆરએમ જયંત કુમાર ચૌધરી હાજર હતા.