કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી
ભારતીય કાપડ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે, કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી કપાસ પર આયાત ડ્યુટીમાં કામચલાઉ મુક્તિ આપી હતી. નિકાસકારોને વધુ ટેકો આપવા માટે, કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ (HS 5201) 30 સપ્ટેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ પ્રમાણે ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી લગભગ 350 અબજ ડોલરનો છે અને તે કૃષિ પછી બીજા ક્રમનો સૌથી મોટો રોજગાર આપતો ઉદ્યોગ છે. આમાં 4.5 કરોડથી વધુ લોકો આ સેક્ટર સાથે સીધા સંકળાયેલા છે. ભારતે 2023-24માં 34.4 બિલિયન ડોલરના કાપડની નિકાસ કરી હતી, પરંતુ અમેરિકન ટેરિફથી નિકાસને મોટો ઝટકો મળી શકે છે. જોકે, ડ્યુટી-ફ્રી કોટન આયાતથી કાપડ મિલોના ખર્ચમાં ઘટાડો થશે. યાર્ન અને કાપડ સસ્તા થશે. ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધા જાળવી શકશે.
ભારતનું આ પગલું માત્ર આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક પણ છે. તે દર્શાવે છે કે ભારત અમેરિકન દબાણ છતાં પોતાના ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે પગલાં લઈ રહ્યું છે. આ સાથે જ તે એક સંદેશ પણ છે કે ભારત નવા નિકાસ બજારો (બ્રિટન, જાપાન, યુરોપ, એશિયા) તરફ ઝુકી રહ્યું છે. આ સંદર્ભમાં સરકારે વિશ્વના 40 દેશોમાં ટેક્સટાઈલ પ્રોડક્ટની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ભારતે દરેક દેશ માટે એક અલગ યોજના તૈયાર કરી છે.