મુળીના આસુન્દ્રાળી ગામે સરકારી જમીનમાં કાર્બોસેલનું ખનન, ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
- ચોટીલાના ડે. કલેકટરની ટીમે પાડ્યો દરોડો,
- ટ્રેક્ટર, બે કમ્પ્રેસર, ચાર ચરખી અને 40 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત,
- ગામના ઉપસરપંચ દ્વારા ખનીજની ચોરી કરાતી હતી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રના દરોડા છતાંયે ખનીજચોરી બેરોકટોક થઈ રહી છે. ખનીજ માફિયા કોઈને ગાંઠતા નથી. જો કે ચોટિલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણાએ ઘણા સમયથી ખનીજચોરી સામે ઝૂંબેશ આદરી છે. ત્યારે તાજેતરમાં મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં દરોડો પાડ્યો હતો. સરકારી સર્વે નંબર 246 અને ખાનગી માલિકીના સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ એક ટ્રેક્ટર, બે કમ્પ્રેસર, ચાર ચરખી અને 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ જપ્ત કર્યું. કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વિરાભાઈ જોગરાણા દ્વારા ચલાવવામાં આવતી હતી. સરકારી જમીન પર બનાવવામાં આવેલું પાકું મકાન પણ તોડી પાડવામાં આવ્યું. આ કાર્યવાહીથી અંદાજે 36 લાખ રૂપિયાની કિંમતની ત્રણ એકર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
ચોટિલાના ડેપ્યુટી કલેકટરની ટીમે મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં દરોડો પાડ્યો હતો. સરકારી સર્વે નંબર 246 અને ખાનગી માલિકીના સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું. ગેરકાયદે ખનનમાં ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વિરાભાઈ જોગરાણાની સંડોવણી હોવાનું ખૂલતા ઉપસરપંચ પદ પર હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ રતાભાઈ જોગરાણાને પદેથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમની સામે ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રેક્ટર અને કમ્પ્રેસરના માલિક અરજણભાઈ જીવણભાઈ રબારી (રહે. રાણીપટ) સામે પણ ગુજરાત મિનરલ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.