સી.પી. રાધાકૃષ્ણનએ ઉપરાષ્ટ્રપતિ પદે શપથગ્રહણ કર્યાં
નવી દિલ્હી : સી.પી. રાધાકૃષ્ણને શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિધિવત્ સમારંભમાં 67 વર્ષીય રાધાકૃષ્ણનને શપથ અપાવી હતી. એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણએ ઇન્ડિ ગઠબંધનના ઉમેદવાર ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડીને 152 મતોના અંતરથી પરાજિત કરી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.
ગયા 21 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ 9 સપ્ટેમ્બરે નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી બાદ રાધાકૃષ્ણને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. રાધાકૃષ્ણનના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો પ્રભાર સોંપ્યો છે. હવે દેવવ્રત બંને રાજ્યોના રાજ્યપાલ તરીકેની જવાબદારી નિભાવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરના સંસદના માન્સૂન સત્ર દરમિયાન જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણો દર્શાવી ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું, તેમનો કાર્યકાળ હજુ બે વર્ષ બાકી હતો. તેમના રાજીનામા કારણે આ મધ્યાવધિ ચૂંટણી યોજાઈ હતી.