સવારની આદતમાં આટલો ફેરફાર કરવાથી અનેક બીમારીઓ રહેશે દૂર
શું તમે પણ સવારે ઉઠતાં જ થાકેલા અને નિરાશ અનુભવો છો? શું દિવસની શરૂઆત ફોન ચેક કરવાથી કે ઉતાવળમાં દોડધામથી થાય છે? જો હા, તો આ આદતો તમારા દિવસભરના મૂડ, એનર્જી અને લાંબા ગાળે સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. નિષ્ણાતો માને છે કે સારી સવારની શરૂઆત માત્ર આપણી શારીરિક નહીં, પણ માનસિક તંદુરસ્તી માટે પણ અત્યંત મહત્ત્વની છે. એવામાં આ આદતો તમારી સવારને પોઝિટીવ બનાવવામાં મદદ કરશે.
સવારે ઉઠતાં જ કરો આ કામ...
સૂર્ય નમસ્કાર અથવા હળવી કસરત કરોઃ સવારનો સમય કસરત માટે બેસ્ટ હોય છે. 15 મિનિટ સૂર્ય નમસ્કાર કે વોકિંગ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, સ્નાયુઓ એક્ટીવ થાય છે અને માનસિક તણાવ ઓછો થાય છે.
હૂંફાળું પાણી પીવોઃ હૂંફાળું પાણી શરીરની ચરબી ઘટાડવા, મેટાબોલિઝમ વધારવામાં અને કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તેમાં લીંબુ અને મધ ઉમેરવાથી તેની અસર વધી જાય છે.
તાંબાના લોટામાં રાખેલું પાણી પીઓઃ રાતભર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. આ પેટ સાફ કરે છે, પાચનતંત્રને સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
બ્રશ કર્યા વિના તલ કે નાળિયેર તેલથી કોગળા કરોઃ એક ચમચી તલ કે નાળિયેર તેલ લઈને 3 મિનિટ સુધી કોગળા કરો. આ મોંની સફાઈ કરે છે, દાંતને મજબૂત બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે.
રોજ સવારે ઉપરોક્ત દિનચર્યા અપનાવવાથી શરીર અંદરથી સ્વચ્છ અને ઊર્જાવાન રહેશે, પાચનક્રિયા સુધરશે, માનસિક તણાવ ઓછો થશે તેમજ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે.