સંભલમાં બુલડોઝર એક્શન: કલ્કિ ધામની બાજુમાં ગેરકાયદે બનેલી મસ્જિદ તોડી પાડાઈ
લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં તંત્ર દ્વારા ગેરકાયદે કબજો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત બુધવારે બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું હતું. એચૌડા કંબોહ વિસ્તારમાં, વિશાળ કલ્કિ ધામની બાજુમાં જાહેર પાર્કની જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ મસ્જિદ સરકારી પાર્કની 265 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવી હતી. અહેવાલના આધારે વહીવટી તંત્રે 11 જૂનના રોજ મસ્જિદ કમિટીને જમીન ખાલી કરવા માટે નોટિસ આપી હતી, જે 16 જૂને બજાવવામાં આવી હતી. શરૂઆતમાં કમિટીએ થોડો ભાગ હટાવ્યો હતો, પરંતુ આખું માળખું દૂર ન થતાં 24 સપ્ટેમ્બરે મામલતદાર દ્વારા બેદખલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 ઓક્ટોબરે મસ્જિદ હટાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. આજે નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહ ભારે પોલીસ બળ અને મહેસૂલ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બુલડોઝરથી માળખું તોડી પાડવામાં આવ્યું હતું.
સીઓ કુલદીપ સિંહે જણાવ્યું કે, “આ કાર્યવાહી કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવી છે. અગાઉ પણ માળખું હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી, હવે બાકીના ભાગને ધ્વસ્ત કરવામાં આવ્યો છે.” તંત્રએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ત્રણ પોલીસ સ્ટેશનનો ફોર્સ અને PAC (પ્રાંતીય આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી) તૈનાત કર્યો હતો. કોઈ અફવા ન ફેલાય તે માટે સ્થળની સંપૂર્ણ નાકાબંધી કરવામાં આવી હતી. મસ્જિદ તોડી પાડ્યા બાદ કાટમાળ પણ તરત જ સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યો, જેથી જમીન સંપૂર્ણપણે ખાલી થઈ શકે.