અમદાવાદમાં રાહદારીના પગ પર BRTS બસ ચડાવી દીધી, બે શખસોએ બસના કાચ તોડ્યા
- શહેરના નારણપુરા વિસ્તારમાં રાતે બન્યો બનાવ,
- ઉશ્કેરાયેલા બે શખસોએ બસના ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા,
- બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદઃ શહેરના નારણપુરા પાસે ગત રાતના સમયે બીઆરટીએસ બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે લોકોએ ઉશ્કેરાઈને બસના ચાલકને મારમારીને બસના કાચ તોડી નાંખ્યા હતા, આ મામલે બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નારણપુરા વિસ્તારમાં બીએસઆરટીએસ બસના ચાલકે બેદરકારીથી બસ ચલાવતા એક રાહદારીના પગ પર બસ ચડાવી દેતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાન ઉશ્કેરાયેલા બે શખસોએ બસના ચાલકને મારમારીને બસમાં તોડફોડ કરી હતી. આ અંગે બસચાલક વેજલપુરમાં રહેતા મહેબૂબ મંડલીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો ફરિયાદ નોંધાવી છે કે, તેઓ છેલ્લા 4 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને બીઆરટીએસ બસ ચલાવે છે. ગત રાતે છેલ્લી ટ્રીપ સાણંદ ચોકડીથી જય મંગલ સુધીની હતી. જેમાં તેઓ જય મંગલ સ્ટોપ પાસે આવ્યા અને બસ લઈને શાસ્ત્રીનગર ચાર રસ્તાથી નારણપુરા બસ ડેપો ખાતે મૂકવા જતા હતા ત્યારે વળાંક પર બસની ખાલી સાઈડના ટાયરમાં એક રાહદારીનો પગ આવી ગયો હતો. જેથી, તેમણે બસની બ્રેક મારી હતી. જે બાદ બસ સાઈડમાં ઊભી રાખતા રાહદારી પગ પકડીને બેસી ગયો હતો.
મહેબૂબભાઈ બસ લઈને થોડા આગળ ગયા ત્યારે બે શખસોએ હાથમાં લાકડી અને પાઇપ વડે અકસ્માત કેમ કર્યો છે તેમ કહી બસનો કાચ તોડીને બસમાં તોડફોડ કરી હતી.મેહબૂબભાઈને બસમાંથી નીચે ઉતારીને લાફા અને ફેટ મારી દીધી હતી. આ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.પોલીસને જાણતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મહેબુબભાઇએ સમગ્ર બાબતે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે