Breaking: પાયલટોનો અઠવાડિક રજા અંગેનો નિયમ DGCA દ્વારા તત્કાળ અસરથી પાછો ખેંચાયો
નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025 Breaking: DGCA withdraws weekly leave rule for pilots વિવિધ એરપોર્ટ પર ઈન્ડિયો ફ્લાઇટ રદ થવાને કારણે સર્જાયેલી અંધાધૂંધી બાદ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે પાઇલટ્સ માટે સાપ્તાહિક આરામ અંગેના નવા સાપ્તાહિક રોસ્ટર ધોરણને પાછો ખેંચી લીધો.
છેલ્લા ચાર દિવસમાં ઇન્ડિગોની 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ થયા બાદ ડીજીસીએ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. સેંકડો ફ્લાઈટ રદ થવાથી ગુજરાત ઉપરાંત દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ સહિતના મુખ્ય હબ પ્રભાવિત થયા છે.
DGCA દ્વારા આજે પાંચ ડિસેમ્બરને શુક્રવારે થોડી વાર પહેલાં જ નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે, "ફ્લાઈટ સંચાલનમાં પડેલા વિક્ષેપ અને કામગીરીનું સાતત્ય અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે વિવિધ એરલાઇન્સ તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને, DGCA દ્વારા અગાઉ જારી કરવામાં આવેલી સૂચના કે, કોઈ પણ રજા સાપ્તાહિક રજાના વિકલ્પે બદલાશે નહીં - તે તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે છે."
આ અગાઉ આજે સવારે જ ઇન્ડિગો એરલાઈન્સે દિલ્હીથી ઉપડતી તેની તમામ ફ્લાઈટ મધ્યરાત્રિ સુધી અને ચેન્નઈથી સાંજે 6 વાગ્યા સુધી તેની બધી ફ્લાઇટ્સ રદ કરી છે. ગુરુગ્રામ સ્થિત એરલાઇન્સે આ અંધાધૂંધી માટે "અણધાર્યા ઓપરેશનલ પડકારો" જવાબદાર ગણાવ્યા છે, જેમાં નાની ટેકનિકલ ખામીઓ, શિયાળાના સમયપત્રકમાં ફેરફાર, ભીડ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.

જોકે, ઉડ્ડયન ક્ષેત્રના આંતરિક સૂત્રો અને જાણકારો એ બાબતે સંમત થાય છે કે ઈન્ડિગોની ફ્લાઈટો ખોરવાઈ જવા પાછળ વાસ્તવિક ફટકો ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) ના અમલીકરણથી આવ્યો છે.
ઇન્ડિગો દરરોજ 2,200 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ફ્લાઇટ્સની સંખ્યા કરતા લગભગ બમણી છે. આયોજનમાં એક નાની ભૂલ પણ મોટી કટોકટીમાં પરિણમી શકે છે. 10% ફ્લાઈટ વિક્ષેપનો અર્થ એ છે કે 200-400 ફ્લાઇટ્સ પ્રભાવિત થાય છે, અને હજારો ફસાયેલા છે.
શુક્રવારે એકલા દિલ્હીમાં 135 પ્રસ્થાનો અને 90 આગમન રદ કરવામાં આવ્યા હતા. બેંગલુરુ એરપોર્ટ ઉપર 52 આગમન અને 50 પ્રસ્થાનો રદ કરવામાં આવ્યા હતા, જ્યારે હૈદરાબાદમાં તે જ દિવસે 92 રદ થયા હતા.
દેશભરમાં, ફક્ત 48 કલાકમાં 600 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી - 20 વર્ષ જૂની એરલાઇન માટે રેકોર્ડ બ્રેકિંગ પતન હતું.
જોકે ડીજીસીએ દ્વારા હાલ તેનો નવો નિયમ પરત ખેંચી લેવાતા આગામી બે દિવસમાં સ્થિતિ સામાન્ય થશે એવું જાણકારો માને છે.