"સ્વયંસેવકથી સ્ટેટ્સમેન- નરેન્દ્ર મોદી @25 - ગુજરાતી પત્રકારોની નજરે" પુસ્તક પ્રકાશિત થયું
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સફળ અને કુશળ શાસક તરીકે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભારતીય રાજકીય ઇતિહાસની આ અસાધારણ ઘટના છે. ગુજરાતમાં તેમના શાસન દરમિયાન ભારતમાં તેમજ દુનિયાના કેટલાક દેશોમાં ગુજરાતનું માન વધ્યું હતું. અને હવે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારતનું માન વધ્યું છે. અર્થતંત્ર મજબૂત થયું છે. આપણી સૈન્ય શક્તિ વધી છે. વિશ્વાસપૂર્વક કહી શકાય કે, સમાજનો કોઈ વર્ગ બાકી નથી જે નરેન્દ્રભાઈની કોઈને કોઈ યોજના/કાર્યક્રમના લાભથી વંચિત હોય. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મેં એક પુસ્તકનું સંપાદન કર્યું છે: "સ્વયંસેવકથી સ્ટેટ્સમેન- નરેન્દ્ર મોદી @25 - ગુજરાતી પત્રકારોની નજરે". આજે 10મી ઓક્ટોબરે આ પુસ્તક પ્રકાશિત થયું છે.
આ પુસ્તકમાં પ્રસ્તાવના વિષ્ણુ પંડ્યા તથા ઉદય મહુરકરે લખી છે, જ્યારે વર્તમાન સમયના આ સૌથી અગત્યના પુસ્તકમાં સર્વશ્રી કુંદનભાઈ વ્યાસ, દેવેન્દ્રભાઈ પટેલ, તરુબેન મેઘાણી કજારિયા, જશવંત રાવલ, તરુણભાઈ દત્તાણી સૌરભ શાહ, જપન પાઠક, દિવ્યાશા દોશી, બકુલ ટેલર, દેવાંગ ભટ્ટ, જ્વલંત છાયા, કિશોર મકવાણા, કૌશિક મહેતા, શિરીષ કાશીકર, કૃષ્ણકાંત ઉનડકટ, શિશિર રામાવત, તુષાર ત્રિવેદી, દેવાંશી જોશી, કેતન મિસ્ત્રી, સમીર પાલેજા, વિવેક ભટ્ટ જેવા 32 વરિષ્ઠ તંત્રી/પત્રકારોએ નરેન્દ્રભાઈ મોદીની શાસન શૈલી વિશે લખ્યું છે. ખાસ વાત એ છે કે, આ પુસ્તક માટે સર્વશ્રી ગુણવંતભાઈ શાહ, સ્વામી સચ્ચિદાનંદજી, દિનકર જોષી તથા વિદ્યુત જોષી જેવા ચિંતકોએ આવકાર-કથન લખી આપ્યાં છે. આ પુસ્તકનું સંપાદન અલકેશ પટેલએ કર્યું છે.