અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ભાજપ બે શહેર પ્રમુખોની નિમણૂંકો કરશે
- સંગઠનને વધુ મજબુત બનાવવા શહેરને બે ભાગમાં વહેંચાશે,
- પ્રથમ અમદાવાદ અને સુરતમાં પ્રયોગ કરીશે,
- બે શહેર પ્રમુખો અને તેના માળખાથી વધુ કાર્યકર્તાને સંગઠનમાં સમાવી શકાશે
અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની મુદત પૂર્ણ થઈ છે. પાટિલ હાલ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી એમ બે જવાબદારીઓ સંભાળી રહ્યા છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ ગુજરાતમાં ભાજપ સંગઠનને હજુ વધુ મજબુત બનાવવાની વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં શહેરી વિસ્તારો ભાજપના ગઢ ગણાય છે. ત્યારે અમદાવાદ અને સુરત સહિત મહાનગરોમાં ભાજપના બે શહેર પ્રમુખોની નિમણૂંકો માટે વિચારણા ચાલી રહી છે,
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ યાને કર્ણાવતીમાં ભાજપ શહેર સંગઠનનું એક જ માળખું છે. ભાજપ હવે અમદાવાદ શહેરને બે વિભાગમાં વિભાજિત કરાવાનું વિચારી રહી છે. શહેરમાં ભૌગોલિક વિસ્તારને આધારે સંગઠનનું વિભાજન કરાશે. વિભાજન બાદ બે અલગ એકમો બનશે જે કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ તરીકે ઓળખાશે અને તેમાં સંગઠનના બે અલગ અલગ એકમો બનશે અને બે પ્રમુખો પણ આવશે. ભાજપમાં કાર્યકર્તાઓનો વ્યાપ ખૂબ વિશાળ હોવાથી બે વિભાગો પાડીને વધુ કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવી શકાય.સતત કાર્યરત રહેનારાં આવા કાર્યકર્તાઓની અપેક્ષા પણ સંગઠનમાં હોદ્દો મેળવવાની હોય છે. પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે શક્ય હોતું નથી,
ભાજપના સૂત્રોના કહેવા મુજબ હાલ અમદાવાદ અને સુરતમાં એમ બે મહાનગરોમાં બે શહેર પ્રમુખનો પ્રયોગ કરાશે. ત્યારબાદ અન્ય મહાનગરોમાં પણ લાગુ પડાશે. સુરત શહેરમાં પણ મુળ સુરતીઓ અને બહારથી વસેલા લોકો એમ બન્નેનું સંગઠનમાં પ્રભુત્વ હોવાથી શહેર માળખામાં કોને હોદ્દો આપવો એ મુશ્કેલ બનતુ હોય છે. એટલે શહેરના માળખામાં બે ભાગ પાડવામાં આવે તો બધાને સમાવી લેવાય એવી ગણતરી છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારની દૃષ્ટિએ મોટું હોવાથી તેનું વિભાજન કરી બે અલગ માળખાં બને તો તેનો ઉકેલ શક્ય છે. આ અંગે હાલમાં ખૂબ પ્રાથમિક રીતે વિચારણા ચાલી રહી છે અને સંભવતઃ નવું સંગઠન માળખું જાહેર થાય તે પહેલા આ બાબતનો નિર્ણય લેવાશે. ભાજપ અમદાવાદ મ્યુનિ.માં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર ઉપરાંત સંગઠનમાં પણ પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દાઓ માટે પૂર્વ અને પશ્ચિમનું સંતુલન જાળવવા પ્રયત્ન કરે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેર વોર્ડ પ્રમુખથી માંડી તમામ મોરચામાં પણ નિમણૂક કરવામાં આવશે. હાલ જે વ્યવસ્થા વિચારાઇ છે તે અનુસાર બન્ને વિભાગના પ્રમુખોની નીચે સમગ્ર માળખું આવશે તેમાં વોર્ડ પ્રમુખથી માંડીને તમામ મોરચા અને બાકીના સભ્યો તેમના સંબંધિત પ્રમુખને રિપોર્ટ કરશે. આ ઉપરાંત બન્ને વિભાગનું મુખ્ય સંગઠન માળખું શહેર પ્રભારીને રીપોર્ટ કરશે. વિભાજનથી કામ વધુ સારું થશે. સંગઠનનું વિભાજન થવાથી કામની વહેંચણી કરવામાં આવતા કામગીરી સરળ બનશે આ સંજોગોમાં એકબીજાના વિસ્તારમાં હસ્તક્ષેપ ઓછો થશે અને સંગઠનનું વિભાજન થવાથી કામની વહેંચણી વધુ આસાન બનશે. શહેર પ્રમુખને માથે સમગ્ર શહેરની જવાબદારી આવવાથી તમામ મોરચા પર ધ્યાન કેન્દ્રીત કરવું મુશ્કેલ બનતું હતું તેને સ્થાને સંબંધિત વિસ્તારમાંથી જ પ્રમુખ અને મહામંત્રી સહિતની ટીમ હોવાથી કામ કરવું આસાન બની જશે.