સહકારી સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને હવે મેન્ડેટની પ્રથા નડી રહી છે
- અગાઉ ઈફ્કો અને નાફેડની ચૂંટણીમાં ભાજપની મનમાની ચાલી નહતી,
- પાર્ટીના જ સહકારી આગેવાનોમાં મતભેદને લીધે ભાજપના મેન્ડેટની અવગણના,
- ભાજપ માટે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ આપવું એટલે અગ્નિપરીક્ષા સમાન
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની સહકારી સંસ્થાઓ ભાજપ હસ્તક છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે. ભાજપ હાઈકમાન્ડ નક્કી કરે તેના નામનું પરબીડિયું પહોંચે છે, અને વરણી થાય છે. ગુજરાતમાં મોટાભાગની સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે મેન્ટેડ મોકલવાની પ્રથા શરૂ કરાવી હતી. પરંતું ભાજપે શરૂ કરેલી મેન્ટેડની પ્રથા તેને જ નડી રહી છે. ભાજપના સહકારી નેતાઓ પક્ષના મેન્ડેટને માનતા નથી.થોડા સમય પહેલા ઈફ્કો, નાફેડની ચૂંટણીમાં ભાજપના મેન્ટેડની ધરાર અવગણના કરવામાં આવી હતી. દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટની ઐસીતૈસી કરીને ચૂંટણીમાં જીત મેળવી ભાજપને પોતાની તાકાતનો પરચો પાર્ટીને દેખાડી દીધો. બંને ચૂંટણીમાં ભાજપના વળતા પાણી થયા હતા. પરંતું આ કારણે સહકારી સંસ્થાઓના ચૂંટણીમાં પાવર આવી ગયો છે. સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મેન્ડેટનો વિરોધ થવાની શક્યતા દેખાઈ રહી છે.
ભાજપમાં છેલ્લા ઘણા સમયથી નેતાઓમાં આંતરિક જૂથવાદ વધી રહ્યો છે, જેને કારણે પ્રદેશ ભાજપ પણ ટેન્શનમાં છે. હવે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો વિરોધ થવાની શક્યતા છે. કારણ કે, અસંતુષ્ટો ફરી ભાજપની પ્રદેશ નેતાગીરી સામે માથુ ઉંચકી રહ્યાં છે. ત્યારે હવે ભાજપ માટે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ આપવું એટલે અગ્નિપરીક્ષા સમાન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પહેલાં જ અમૂલ સહિત અન્ય ૩૩ સહકારી સંસ્થાઓમાં ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેમાં પણ ભાજપમાં પ્રવર્તી રહેલી જૂથબંધી ચૂંટણીમાં મોટો અપસેટ સર્જી શકે છે. તેથી ભાજપ નવુ પ્લાનિંગ કરી રહ્યું છે. આ ચૂંટણીઓ ભાજપ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે. ત્યારે, ભાજપ મેન્ડેટ આપશે કે પછી પોતાની સ્ટ્રેટેજી બદલશે તે જોવું રહ્યું.
ભાજપના ઘણાં નારાજ નતાઓ સહકારી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી મેદાને ઉતરે તેવી શક્યતા છે. જો આવું થયુ તો આંતરિક જૂથવાદ ફરીથી વકરવાની શક્યતા છે.