અમદાવાદના અમરાઈવાડીમાં બેરીકેટ વગરના ખાડામાં બાઈકચાલક ખાબક્યો
- ગટરલાઈનની મરામત માટે રોડ પર ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો,
- રાતના સમયે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હતી,
- ખાડા ફરતે બેરીકેટ લગાવાયા નહોતા
અમદાવાદઃ શહેરમાં ગટર, પાણીની લાઈનો બ્લોક થતાં રોડ તોડીને ખાડાઓ ખોદીને પાણી કે ગટરની લાઈનોને રિપેર કરવામાં આવતી હોય છે. મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પાણી કે ગટરના લાઈનોના રિપેરિંગ માટે ખાડા ખોદ્યા બાદ ખાડા ફરતે બેરિકેટ લગાવવામાં આવતા નથી. ત્યારે ઘણીવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે. આવોજ એક બનાવ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પારસમણી ચાર રસ્તા પાસે બન્યો હતો, મ્યુનિ. દ્વારા રોડ પર ઊંડો ખાડો ખોદ્યા બાદ ખાડા ફરતે બેરીકેટ લગાવવામાં આવ્યું નહતું, તેમજ રાતના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. ત્યારે રોડ પર બાઈક પર નિકળેલો યુવાન બાઈક સાથે ખાડામાં ખાબક્યો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકને બાઈક સાથે બહાર કાઢ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યુવક ખાડામાં પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં પાણી, ગટર કે અન્ય લાઈન નાખવા માટે ખોદેલા ખાડામાં આજુબાજુ ક્યાંય બેરિકેડિંગ યોગ્ય રીતે ન કરેલું હોવાના કારણે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરલાઈન માટે રોડ પર ખોદેલા ખાડામાં બાઈક સાથે યુવક પડ્યો હતો. રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો પણ બંધ હતી. ખાડાની આજુબાજુ બેરિકેડિંગ ન હોવાથી યુવક બાઇક સાથે પડ્યો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકને બાઈક સાથે બહાર કાઢ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પારસમણી ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરલાઈન માટે ખાડો ખોદેલો હતો, જેની આજુબાજુ ક્યાંય બેરિકેડિંગ નહોતા. ગઈકાલે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ એક યુવક બાઈક લઈને નોકરી પર જઈ રહ્યો હતો. આ દરમિયાનમાં ખાડા પાસે કોઈ બેરિકેડિંગ ન હોવાના કારણે પસાર થવા જતા સીધો ખાડામાં પડ્યો હતો. આસપાસના લોકોએ દોડી આવીને ખાડામાંથી બાઈકચાલકને બહાર કાઢ્યો હતો. સદનસીબે બાઈકચાલકને કોઈ ઈજા થઈ નહોતી. યુવકનું બાઈક પણ બહાર કાઢી લેવામાં આવ્યું હતું. મ્યુનિ. દ્વારા ખોદેલા ખાડાની આસપાસ કોઈપણ પ્રકારના બેરિકેડિંગ લગાવ્યા નહોતા, જેથી આ ખાડા જોખમી બની ગયા છે. આ બાબતે અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડને પણ જાણ કરવામાં આવી હતી. અમરાઈવાડી ટોરેન્ટ ઓફિસથી પારસમણિ ચાર રસ્તા થઈને નેશનલ હેન્ડલૂમ સુધી રોડ પર સ્ટ્રીટ લાઈટના થાંભલાઓ પણ એક અઠવાડિયાથી બંધ છે, જેથી રસ્તે જતા નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તાત્કાલિક ધોરણે બેરિકેડિંગ કરી અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને ચાલુ કરાવવા માટે માગ ઊઠી છે.