હારીજ- ચાણસ્મા હાઈવે પર એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત
- હારીજના દાંતરવાડા નજીક સર્જાયો અકસ્માત,
- બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું,
- પોલીસે એસટીબસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પાટણઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણના હારીજ-ચાણસ્મા હાઇવે પર અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો, એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવાનને ઈજાઓ થઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકો ભીડ એકઠી થઇ હતી અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, હારિજ ચાણસ્મા હાઈવે પર દાંતરવાડા નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ગાલ્લા રસુલપુરા ગામના બે યુવાનો બાઇક પર હારિજથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. બપોરે 1.30 વાગ્યે દાંતરવાડા નજીક સામેથી આવી રહેલી હિંમતનગર-અંજાર એસટી બસ સાથે બાઇક અથડાઈ હતી. અકસ્માતમાં 25 વર્ષીય યુવાન ઠાકોર માનજીજી રાજાજીનું ઘટનાસ્થળે મોત થયું. બીજો યુવાન હસમુખભાઈ ભીખાભાઈ વાલ્મિકી (ઉ.વ. 32)ને પગમાં ફ્રેક્ચર અને અન્ય ગંભીર ઇજાઓ થતાં પહેલા હારિજ રેફરલ હોસ્પિટલ ખસેડાયો. ત્યાંથી વધુ સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલમાં લઈ જવાયો હતો.પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હારીજ તાલુકાના દાંતરવાડા નજીક સોમવારે બપોરના સમયે રસુલપુરા ગામના બે યુવાનો બાઈક પર પોતાને ગામ તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન સામેથી આવતી હિંમતનગર અંજાર બસની સાથે બાઈક ટકરાતા 25 વર્ષીય ઠાકોર માનજીજી રાજાજીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે હસમુખભાઇ ભીખાભાઇ વાલ્મિકીને ગંભીર ઇજાઓ થતા પાટણ ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. એસટી ડ્રાઈવર પોલીસ સ્ટેશન હાજર થઈ જતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.