અમદાવાદના એસપી રિંગ રોડ પર સ્કોર્પિયોની ટક્કરે બાઈકચાલકનું મોત
- અમદાવાદના એસપી રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તા નજીક બન્યો બનાવ
- અજાણી વ્યક્તિએ ફોન કરી અકસ્માતની જાણ કરી
- પોલીસે સ્કોર્પિયોચાકલ સામે ગુનોં નોધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે સ્કોર્પિયો કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ અને એબ્યુલન્સ દોડી આવ્યા હતા. અને મૃતક બાઈકચાલકને હોસેપિટલ ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે સ્કોર્પિયો કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તા પાસે પૂરઝડપે સ્કોર્પિયો કારના ચાલકે બાઇકચાલક વેપારીને જોરદાર ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સ્કોર્પિયો કારના ચાલક વિરુધ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ત્રાગડમાં આવેલા સ્પંદન હાઇટ્સમાં રહેતા 26 વર્ષીય સક્ષમ કટારિયાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સક્ષમ અને તેમનો નાનો ભાઈ આયુષ વંદેમાતરમ ચાર રસ્તા પાસે પંજાબ સ્પોર્ટસ નામની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. બંને ભાઇઓ દુકાનમાં હાજર હતાં. એ દરમિયાન બપોરે 1 વાગે નાના ભાઇ આયુષે તેમના પિતા સંજીવ કટારિયાને ફોન કર્યો હતો. એ વખતે કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને કહેલું કે, તમારા પિતાજીને સરદારધામ ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. અને તેમને સોલા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. હોસ્પિટલમાં હાજર બોપલ પોલીસે બંને ભાઇઓને તેમના પિતાજીનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. બંને ભાઇઓએ અકસ્માત અંગે પૃચ્છા કરતા જાણવા મળ્યું હતું કે, તેમના પિતા સંજીવભાઇ એસ.પી. રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તાથી પસાર થતાં હતાં. એ વખતે પૂરઝડપે આવેલી સફેદ કલરની ટેક્ષી પાસિંગની સ્કોર્પિયો કારના ચાલકે ટક્કર મારી હતી. પોલીસે સ્કોર્પિયો કારના ચાલક વિરુધ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.