બિહાર: તેજસ્વી યાદવના કાફલાને નડ્યો અકસ્માત, ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ
વૈશાલીઃ બિહારના વૈશાલી જિલ્લામાં એક ટ્રકે તેજસ્વી યાદવના કાફલાના બે વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા માંડ બચી ગયા, પરંતુ ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રકે ટક્કર મારી ન હતી. અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ યાદવનો કાફલો ગોરૌલ નજીક પટના-મુઝફ્ફરપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચા પીવા માટે રોકાયો હતો ત્યારે આ ઘટના બની હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે તે મધેપુરાથી પટના પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "યાદવને કોઈ ઈજા થઈ નથી. ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. યાદવે પણ હોસ્પિટલ પહોંચીને ઘાયલ કર્મચારીઓની હાલત વિશે પૂછપરછ કરી હતી.
હોસ્પિટલમાં યાદવે જણાવ્યું હતું કે, "અમે મધેપુરાથી પટના પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. અમે ગોરૌલ નજીક ચા પીવા માટે રોકાયા હતા. એક ઝડપી ટ્રકે મારા કાફલાના બે વાહનોને ટક્કર મારી હતી, જેમાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. મેં તાત્કાલિક જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. આ અકસ્માત મારા વાહનથી માત્ર પાંચ ફૂટ દૂર થયો હતો." અધિકારીએ કહ્યું કે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને વાહન જપ્ત કર્યું છે. યાદવે કહ્યું, "ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ."