For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહાર ચૂંટણીઃ પહેલા મતદાન પછી જળપાનની પીએમ મોદીની મતદારોને અપીલ

11:49 AM Nov 06, 2025 IST | revoi editor
બિહાર ચૂંટણીઃ પહેલા મતદાન પછી જળપાનની પીએમ મોદીની મતદારોને અપીલ
Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. આજના મતદાનથી રાજ્યની 121 બેઠકોના 3.75 કરોડથી વધુ મતદારો 1314 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. આ તબક્કામાં ઘણા દિગ્ગજોના નસીબનો ફેંસલો પણ મતદારો નક્કી કરશે જેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણી ચાલી રહેલા મતદાનના પગલે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બિહારની જનતાને વધુમાં વધુ મતદાન કરવા માટે આહવાન કર્યુ, જેમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને પહેલાં મતદાન, પછી જ જળપાન કરવા માટે અપીલ કરી.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જે 121 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેમાંથી NDAના 121 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે મહાગઠબંધનના 126 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. NDA તરફથી ભાજપના 48 ઉમેદવારો, જ્યારે જેડીયુના 57, એલજેપી (રામવિલાસ)ના 14 અને રાષ્ટ્રીય લોક મોરચાના બે ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય આજે થવાનો છે. જ્યારે મહાગઠબંધન તરફથી આ તબક્કામાં આરજેડીના 73, કોંગ્રેસના 24, સીપીઆઈ (માલે)ના 14, વીઆઈપીના પાંચ, સીપીઆઈ (એમ)ના ત્રણ અને સીપીઆઈના પાંચ સહિત ઇન્ડિયન ઇન્કલાબ પાર્ટી (આઈઆઈપી)ના ત્રણ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય મતદારો કરશે.

Advertisement

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 14 દિગ્ગજો મંત્રીઓનું નસીબ દાવ પર લાગેલું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા અને તેજસ્વી યાદવનું નસીબ આજે મતદારોના હાથમાં છે. પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સીવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટના અને ભોજપુર જિલ્લાઓમાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં અનેક પક્ષોના અધ્યક્ષોનું પણ ભવિષ્ય નક્કી થશે. જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહા મહનારથી ચૂંટણી મેદાનમાં છે જ્યારે આરએલએમ (રાષ્ટ્રીય લોક મોરચા)ના અધ્યક્ષ મદન ચૌધરી પારૂથી અને આઈઆઈપીના ઇન્દ્રજીત પ્રસાદ ગુપ્તા સહરસાથી ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત આ તબક્કાની ચૂંટણીમાં અનેક ચર્ચિત ચહેરાઓના રાજકીય ભવિષ્ય નક્કી થશે. જેમાં લોકગાયિકા મૈથિલી ઠાકુર, શત્રુઘ્ન કુમાર ઉર્ફે ખેસારી લાલ યાદવ, પૂર્વ આઈપીએસ અધિકારી આનંદ મિશ્રા, સીવાનના પૂર્વ સાંસદ શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબ, પરસાથી પૂર્વ સીએમ દારોગા રાયની પૌત્રી કરિશ્મા રાયનો સમાવેશ થાય છે.

આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો નીતીશ કુમારના નેતૃત્વવાળી એનડીએ અને તેજસ્વી યાદવના નેતૃત્વવાળી મહાગઠબંધન વચ્ચે માનવામાં આવી રહ્યો છે. જોકે, ઘણા ક્ષેત્રોમાં જન સુરાજ અને એઆઈએમઆઈએમ (AIMIM)ના ઉમેદવારો પણ સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement