ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું પુનઃગઠન, મંત્રી મંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન અપાયું
- 10 મંત્રીઓને પડતા મુકાયા, 7 મંત્રીઓને રિપિટ કરાયા,
- રાજ્યપાલ દેવવ્રતજીએ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા,
- નવા મંત્રી મંડળમાં 7 પાટીદાર, 9 OBC, 3 SC, 4 ST અને 3 મહિલાનો સમાવેશ
ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારના મંત્રી મંડળનું આજે પુનઃગઠન કરવામાં આવ્યું હતું. નવા મંત્રીમંડળમાં અગાઉના 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે 19 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. નવા મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત 26ના મંત્રી મંડળમાં દરેક સમાજને સમતોલ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં 7 પાટિદાર, 3-એસસી, 4-એસટી, 9 ઓબીસીને સ્થાન આપવામાં આવ્યું છે. નવા મંત્રી મંડળમાં રિવાબા જાડેજા સહિત ત્રણ મહિલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથવિધી સમારોહમાં નવા મંત્રીઓને રાજ્યપાલ દેવવર્ત આચાર્યએ શપથ લેવડાવ્યા હતા.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળનું આજે પુનઃ ગઠન કરવામાં આવ્યું હતું. 19 નવા ચહેરાઓને સ્થાન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળનું કદ 26નું રખાયું છે. 10 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે. જેમાં (1) બળવતસિંહ રાજપૂત, (2) મૂળુ બેરા (3) રાઘવજી પટેલ (4) કુબેર ડિંડોર, (5) જગદીશ વિશ્વકર્મા ( પ્રદેશ પ્રમુખ બનતા રાજીનામું), (6) ભાનુબહેન બાબરિયા (7) મુકેશ પટેલ, (8) ભીખુસિંહ પરમાર (9) કુવરજી હળપતિ અને (10) બચુ ખાબડનો સમાવેશ થાય છે. જ્યારે 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં (1) અર્જુન મોઢવાડિયા-પોરબંદર, (2) રિવાબા જાડેજા-જામનગર ઉત્તર, (3) ઈશ્વર પટેલ- અંકલેશ્વર, (4) જીતુ વાધાણી-ભાવનગર પશ્વિમ, (5) નરેશ પટેલ ગણદેવી, (6) પીસી બરંડા, ભિલોડા (7) કાંતિ અમૃતિયા-મોરબી, (8) કૌશિક વેકરિયા-અમરેલી, (9) રમેશ કટારા ફતેપુરા, (10) જયરામ ગામીત-નીઝર (11) દર્શન વાઘેલા-અસારવા,(12)પ્રદ્યુમન વાઝા-કોડિનાર,(13) મનીષા વકિલ-વડોદરા શહેર (14) પ્રવિણ માળી-ડીસા, (15) સંજયસિંહ મહિડા-મહુધા-ખેડા (16) રમણ સોલંકી-બોરસદ,(17)કમલેશ પટેલ-પેટલાદ, (18) ત્રિકમ છાંગા-અંજાર,અને (19) સ્વરૂપજી ઠાકોર-વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં ત્રણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મંત્રી મંડળમાં ત્રણ SC, ચાર ST, નવ OBC અને સાત પાટીદાર નેતઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી મંડળમાં એક ક્ષત્રિય અને એક જૈનનો સમાવેશ થયો છે. મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધારે છે. સૌરાષ્ટ્રમાંથી કુલ નવ ધારાસભ્યોનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. ઉત્તર ગુજરાતમાંથી ત્રણ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે, તેમજ દક્ષિણ ગુજરાતમાંથી છ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાંથી પાંચ ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
ભાજપ દ્વારા મોટા પાયે ફેરફારનું મુખ્ય કારણ રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને પણ માનવામાં આવી રહ્યુ છે. આને 'મીની વિધાનસભા ચૂંટણીઓ' માનવામાં આવી રહી છે. પરિણામે, ભાજપને આ ચૂંટણીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ અને ગાંધીનગર સિવાય અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત નવી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટણીઓ યોજાશે. ગુજરાતમાં, ભાજપ શરૂઆતથી અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં વધુ મજબૂત રહ્યું છે. આવી સ્થિતિમાં, ભાજપ આ ચૂંટણીઓમાં કોઈ નુકસાન ન ઉઠાવવા માટે કટિબદ્ધ છે..