વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રણ પાટિદાર ઉમેદવારો વચ્ચે જંગ
- કડીની બેઠક પર ચાવડા અટકધારી ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ
- વિસાવદરમાં પાટિદારોના મતોમાં વિભાજન થશે એટલે અન્ય જ્ઞાતિઓને રિઝવવાના પ્રયાસ કરાશે
- ઉમેદવારીપત્રો ભરાતા હવે કાલથી ચૂંટણી પ્રચારમાં તેજી આવશે
અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. બન્ને બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી પત્રો ભરી દીધા છે. જેમાં વિસાવદરની બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયા તેમજ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી જાંબુડીના સરપંચ લાલજી કોટડીયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કડીની બેઠક પરથી ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસમાંથી રમેશ ચાવડાને અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડાને તેમજ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ગિરિશ કાપડિયાને ટિકિટ આપવામાં આવી છે. આ બન્ને બેઠકોની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ ખેલાશે. વિસાવદરની બેઠક પર પાટિદાર મતદારો સૌથી વધુ હોવાથી તમામ પક્ષોએ પાટિદાર ઉમેદવારોને ટિકિટ આપી છે. તેથી પાટિદાર મતોમાં વિભાજન થવાથી રાજકીય પક્ષો અન્ય જ્ઞાતિઓને આકર્ષવાના વધુ પ્રયાસો કરશે તેમ લાગી રહ્યું છે.
કોંગ્રેસ પાર્ટીએ કડીની બેઠકના ઉમેદવારના નામની જાહેરાત બાદ વિસાવદર બેઠક પર પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર નીતિન રાણપરીયાને ટિકિટ આપી છે. આ સાથે હવે વિસાવદર બેઠક પર પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે. કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા વિસાવદર ભેંસાણ વિધાનસભાના યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. તેમજ જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય છે. આજે વિસાવદર માટે તેઓ ઉમેદવારી નોંધાવી હતી. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરી દીધી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર પર પસંદગી કરતા વિસાવદરમાં પાટીદાર વર્સિસ પાટીદારોનો જંગ જામશે. જોકે, આ વચ્ચે વિસાવદરની જનતા કોને વોટ આપશે અને કોને જીતીને વિધાનસભા મોકલશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.