બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર મામલે માફી માંગવા કરી તાકીદ
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધ વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધ ફરીથી પાટે ચડી રહ્યાં છે. તેમજ પાકિસ્તાનના મંત્રીઓ અને અધિકારીઓ બાંગ્લાદેશની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશે ફરી એકવાર પાકિસ્તાને ઝટકો ઝટકો આપ્યો છે. તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોઈ પણ પ્રકારની સમજૂતી પહેલા 1971ના નરસંહાર બદલ પાકિસ્તાને લેખિતમાં માફી માગવી જોઈએ.
સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશે પાકિસ્તાનને આ મામલે ઔપચારિક માફી માગવા કહ્યું છે. આ માગણી બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને ઢાકામાં યોજાયેલી એક દ્વિપક્ષીય બેઠકમાં પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશમંત્રી ઈશાક ડાર સમક્ષ રજૂ કરી હતી.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે બેઠક બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "1971માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નરસંહાર માટે ઔપચારિક માફી, સંપત્તિનું વિભાજન, 1970ના ચક્રવાતના પીડિતો માટે આપવામાં આવેલી વિદેશી સહાયનું ટ્રાન્સફર અને ફસાયેલા પાકિસ્તાનીઓને સ્વદેશ પરત મોકલવા જેવા લાંબા સમયથી પડતર ઐતિહાસિક મુદ્દાઓનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાની જરૂર છે. આ મુદ્દાના ઉકેલ દ્વારા જ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો પાયો નંખાઈ શકે છે."
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર 23 થી 24 ઓગસ્ટ સુધી બાંગ્લાદેશની બે દિવસીય સત્તાવાર મુલાકાતે હતા. આ મુલાકાત બાંગ્લાદેશના વિદેશ સલાહકારના આમંત્રણ પર થઈ હતી. આ દરમિયાન, ડારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય કરાર અને પાંચ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર સમારોહ રવિવારે બપોરે ઢાકામાં યોજાયો હતો, જેમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈન અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર હાજર હતા.