For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, 26 લાખથી વધુ દીવા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો

08:44 PM Oct 19, 2025 IST | revoi editor
અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો  26 લાખથી વધુ દીવા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો
Advertisement

અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં રવિવારે 9મો દીપોત્સવ એટલી ભવ્યતાથી ઉજવાયો કે આખું શહેર પ્રકાશપૂર્વક ઝગમગી ઉઠ્યું હતું. સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટો પર કુલ 28 લાખથી વધુ દીવડા પ્રગટાવાયા, જેનો 26,11,101 દીવા સાથે નવો વિશ્વ વિક્રમ નોંધાયો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ અયોધ્યા ખાતે હાજર રહી અને આ સિદ્ધિનું પ્રમાણપત્ર પણ અપાયું હતું.
પ્રારંભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્ક ખાતે પુષ્પક વિમાન જેવા હેલિકોપ્ટર દ્વારા આવેલા શ્રીરામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજીના સ્વરૂપોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભારત મિલાપ સમારોહ યોજાયો અને રામકથા પાર્કમાં મુખ્યમંત્રીએ શ્રીરામના રાજ્યાભિષેક સાથે ઉત્સવની શરુઆત કરી હતી. માળા અને તિલક સાથે શ્રીરામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તથા ગુરુ વશિષ્ઠની પૂજા કરવામાં આવી. સમગ્ર મેદાન “જય શ્રીરામ”ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રીએ ત્યારબાદ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના દર્શન કરી આ પાવન અવસરે આરતી પણ કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, "રામરાજ્ય એ એવું વિચારધારાનું પ્રતિક છે જ્યાં કોઈ ગરીબ, દુઃખી કે લાચાર ન હોય. આજે, જ્યારે ગરીબને શૌચાલય, પોતાનું ઘર, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મળે છે, તેમજ ખેડૂતોને સહાય મળે છે, ત્યારે એ રામરાજ્યના વિચારોનો પ્રતિબિંબ છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, “અમે અયોધ્યામાં દીવા પ્રગટાવી રહ્યા છીએ, જ્યારે કેટલીક તાકાતોએ તાળા લગાવ્યા હતા. તે જ લોકોએ રામમંદિરના માર્ગમાં વકીલોની ફોજ ઊભી કરી હતી અને રામભક્તો પર ગોળીબાર કર્યો હતો.”

Advertisement

“અયોધ્યાની ઓળખ ભૂંસીને ફૈઝાબાદ બનાવી દીધું હતું, પરંતુ આજે અમે ફરીથી અયોધ્યાને તેનું પૌરાણિક અને ધાર્મિક ગૌરવ પરત આપ્યું છે. આજે આ પવિત્ર નગર ‘અયોધ્યાધામ’ તરીકે વિશ્વમાં ઉજળતી ઓળખ બની ગયું છે.” આ દીવા એ શ્રદ્ધાનો પ્રકાશ છે, જે રાજકીય ઇરાદાઓથી કદી બુઝી શકાતો નથી.

અયોધ્યામાં ઉજવાયેલો આ દીપોત્સવ માત્ર દીવોનો ઉત્સવ નહીં પરંતુ રાષ્ટ્રગૌરવ, સાંસ્કૃતિક પુનર્જાગરણ અને રામરાજ્યના સંકલ્પ સાથે દેશના નાગરિકોને જોડતો એક પવિત્ર પ્રસંગ બની રહ્યો છે.

Advertisement
Advertisement