પાકિસ્તાન માટે એશિયન ડેવલપમેન્ટ બેંકએ 800 મિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ મંજુર કર્યું
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. જે બાદ ફરી એકવાર પાકિસ્તાન મદદના નામે ભીખ માંગવા માટે વિશ્વના દેશો સુધી પહોંચ્યું છે. દરમિયાન, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ પાકિસ્તાન માટે 800 મિલિયન યુએસ ડોલરનું બેલઆઉટ પેકેજ મંજૂર કર્યું છે. ભારતના વિરોધ છતાં ADB એ આ પગલું ભર્યું છે.
આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના ઇતિહાસને કારણે પાકિસ્તાનને કોઈપણ પ્રકારની સહાય સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પણ પાકિસ્તાનને લગભગ 8,500 કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ જારી કર્યું હતું. પાકિસ્તાનની આર્થિક નબળાઈનો ઉલ્લેખ કરીને, ભારતે લોનની રકમના દુરુપયોગ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના નાણામંત્રી ખુર્રમ શહઝાદે જણાવ્યું હતું કે આ પેકેજ હેઠળ, દેશમાં આયોજન કાર્ય (PBG) પૂર્ણ કરવા માટે 300 મિલિયન યુએસ ડોલરની નીતિ આધારિત લોન (PBL) અને 500 મિલિયન યુએસ ડોલરની લોન આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ADB એ સુધારા કાર્યક્રમ હેઠળ પાકિસ્તાન માટે 800 મિલિયન યુએસ ડોલરના બેલઆઉટ પેકેજને મંજૂરી આપી છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના નાણા મંત્રાલયે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય સ્થાનિક સંસાધનોને એકત્ર કરવાનો અને નાણાકીય સુધારા દ્વારા અર્થતંત્રને સ્થિર કરવાનો છે. મંત્રાલયે કહ્યું, "આ સહાય કર પ્રણાલીમાં સુધારો કરશે અને આવકમાં વધારો કરશે. આ આર્થિક આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે."
ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાન ADB અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળેલી લોનનો ઉપયોગ તેના દેશના વિકાસને બદલે આતંકવાદ અને લશ્કરી ખર્ચ માટે કરી શકે છે. ભારતે કહ્યું કે ADB અને IMF તરફથી અનેક લોન છતાં, પાકિસ્તાન વારંવાર તેના આર્થિક સુધારાઓને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનની નબળી સરકારનો ઉલ્લેખ કરતા, ભારતે કહ્યું કે સેના ત્યાંની સરકારના દરેક નિર્ણયમાં દખલ કરે છે.