એશિયા કપઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ફાઈનલ
નવી દિલ્હીઃ એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની આવતીકાલે ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે સુપર ફોર તબક્કાની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું. ભારત બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું હતું. ગઈકાલે દુબઈમાં ટાઈ થયા બાદ ભારતે સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું.પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 202 રન બનાવ્યા. અભિષેક શર્માએ 61 રન બનાવ્યા. 203 રનના લક્ષ્યાંકના જવાબમાં, શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 202 રન બનાવી મેચ ટાઇ કરી. પથુમ નિસાન્કાએ સદી ફટકારી હતી.સુપર ઓવરમાં ભારતના અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં, ભારતે પ્રથમ બોલ પર ત્રણ રન બનાવીને મેચ જીતી લીધી.
દરમિયાન એશિયા કપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે શ્રીલંકા સામેની મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર એક ઓવર ફેંક્યા પછી મેદાન છોડી જતો રહ્યો હતો. આ સાથે જ સ્ટાર ઓપનર અભિષેક શર્મા પણ ઈન્જર્ડ હોય તેવું દેખાયું હતું. હાર્દિક પંડ્યાએ શ્રીલંકાના ઓપનર કુસલ મેન્ડિસને આઉટ કરીને ભારતના 202 રનના લક્ષ્યને બચાવવા માટે જોરદાર શરૂઆત કરી હતી. જો કે પહેલી ઓવર પછી તે પગમાં સ્ટ્રેચ આવતા મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને ફરી રમવા જ ન આવી શક્યો. જેના કારણે ફાઇનલ પહેલા ચિંતા વધી હતી. જોકે, બોલિંગ કોચ મોર્કેલે પાછળથી ખુલાસો કર્યો હતો કે દુબઈમાં ભેજવાળી પરિસ્થિતિમાં પંડ્યાને સ્ટ્રેચનો સામનો કરવો પડ્યો હતો. ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો અને પુષ્ટિ કરી હતી કે ઓલરાઉન્ડરને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જો કે, ફાઇનલ માટે તેની ઉપલબ્ધતા અંગેનો નિર્ણય શનિવારે ફિટનેસ મૂલ્યાંકન પછી લેવામાં આવશે.