ગુજરાતના સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને મંજુરી
- PMJAY-મા યોજના અંતર્ગત રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
- રાજ્યના 6.40 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે લાભ
- રૂ.10 લાખ વધુ સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તો મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે.
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) કરશે. જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (1000/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે.
રૂ.10 લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.
અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ 2.658 હોસ્પિટલો (ખાનગી: 904, સરકારી:1754) સંકળાયેલ છે.જેમાં 2471 નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે.
રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે.
રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે 4.20 લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે 2.20 લાખ પેન્શનર્સ મળી કુલ 6.40 લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે.
ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. 70 + પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલી વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજના અંતર્ગત રૂ.303.3 કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર 3708 /- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રિમિયમ ચૂકવશે.