પાકિસ્તાન માટે જાસૂસી અને હવાલા નેટવર્કમાં વધુ એક વકીલની ધરપકડ
ગુરુગ્રામ: પાકિસ્તાન સાથે સંકળાયેલા જાસૂસી અને હવાલા નેટવર્કની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. SITએ ગુરુગ્રામ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને તાવડુ વિસ્તારના વકીલ નય્યૂમની ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, SITએ થોડા દિવસો પહેલા નય્યૂમને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતી હતી. જોકે, તેની વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા મોડી રાત્રે તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પકડાયેલા વકીલ રિઝવાન સાથે નય્યૂમની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે નય્યૂમ રિઝવાનનો નજીકનો સાથીદાર છે.
આ પ્રકરણમાં નય્યૂમની ધરપકડ સાથે કુલ આરોપીઓની સંખ્યા સાત પર પહોંચી છે. આ અગાઉ પંજાબમાંથી પાંચ અને મેવાતમાંથી બે વકીલોની ધરપકડ કરવામાં આવી છે. SITને શંકા છે કે મેવાતના આ બંને વકીલો પાકિસ્તાની નેટવર્કને ભારતની સંવેદનશીલ માહિતી પૂરી પાડતા હતા. તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડવા માટે આ વકીલો હવાલા ચેનલનો ઉપયોગ કરતા હતા. કોર્ટે નય્યૂમને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે, જેથી જાસૂસી નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.
તાવડુના ડીએસપી (DSP) અભિમન્યુ લોહાનના જણાવ્યા મુજબ, "આરોપી નય્યૂમની પૂછપરછમાં તે આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ જ તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ૮ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જેથી આખા નેટવર્કનો પર્દાફાશ કરી શકાય."