ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહ પ્રથમવાર જમ્મુ- કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમવાર જમ્મુ- કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. અમિત શાહે ગઈકાલે રાત્રે જમ્મુમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અમિત શાહે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી. તેમને યાત્રા માટેના સુરક્ષા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અટલ દુલ્લૂ અને વિવિધ અર્ધલશ્કરી દળો, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના વડાઓ હાજર રહ્યા હતા. અમિત શાહ ગઈકાલે સાંજે કેન્દ્રશાસિત પ્રદેશની બે દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. ગૃહમંત્રી આજે પૂંચની મુલાકાત લેશે અને પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત લોકોને મળશે.