અંબાજી મંદિરને 'ઈટ રાઈટ પ્રસાદ' પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગરઃ વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર એવા યાત્રાધામ અંબાજીના મંદિરને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા “ઈટ રાઈટ પ્રસાદ” (Eat Right Prasad) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા બદલ આપવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન અંદાજે 1.25 કરોડ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ થાય છે. આ પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ કડક માપદંડોનું પાલન કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર એવા ધાર્મિક સ્થળોને આપવામાં આવે છે જેઓ પ્રસાદ તૈયાર કરતી વખતે અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું સખત રીતે પાલન કરતા હોય.
આ પ્રમાણપત્ર મળવાથી અંબાજી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનો પ્રસાદ પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બનશે અને મંદિર દ્વારા કરવામાં આવતી સ્વચ્છતા અને ગુણવત્તા જાળવણીના પ્રયાસોને સત્તાવાર માન્યતા મળી છે.