બંગાળ હિંસામાં સાંપ્રદાયિક વલણના આરોપો, શુભેન્દુ અધિકારીએ પોલીસને કરી આ અપીલ
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં થયેલી હિંસા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે અહીં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ હિંસામાં સાંપ્રદાયિક વલણ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે હિંસા દરમિયાન શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
શુભેન્દુ અધિકારીનો આરોપ - હિંસા સાંપ્રદાયિક હતી
શુભેન્દુ અધિકારીએ ડાયમંડ હાર્બરના એસપી અને બંગાળના ડીજીપીને અપીલ કરી છે કે તેઓ હિંસાગ્રસ્ત મહેશતલા જવા માંગે છે અને ત્યાં પીડિત હિન્દુ પરિવારોને મળવા માંગે છે. શુભેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'મેં ડાયમંડ હાર્બરના એસપી અને ડીજીપી સાથે વાત કરી છે જેથી હું અને બીજા એક ધારાસભ્ય મહેશતલા જઈ શકીએ અને જેહાદીઓ દ્વારા હુમલો કરાયેલા હિન્દુ પીડિત પરિવારોને મળી શકીએ અને તેમની સાથે એકતા દર્શાવી શકીએ.'
શુભેન્દુ અધિકારી કહે છે કે 'દક્ષિણ 24 પરગણામાં થયેલી હિંસામાં 30-35 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પાંચ પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. બેકાબૂ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસે સફેદ ઝંડા લહેરાવ્યા હતા. મીડિયામાં આ જ ચાલી રહ્યું છે. ભાજપ નેતાએ કહ્યું કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોર્ટ અર્ધલશ્કરી દળને સૂચના આપશે.