એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 15 ટકાનો ઘટાડો, નવા શેડ્યુલની જાહેરાત
- અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટ રદ,
- રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 ડોમેસ્ટિકનો સમાવેશ,
- જુલાઈના મધ્યભાગ સુધી શિડ્યુલ લાગુ પડશે
અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક સપ્તાહ પહેલા બીજે મેડિલક કોલેજની હોસ્ટેલ પર એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના બની હતી. આ દૂર્ઘટના બાદ હવે લોકો વિમાનમાં મુસાફરી કરવામાં ડર અનુભવી રહ્યા છે. હવે તમામ વિમાન કંપનીઓ પ્રવાસીઓની સલામતી માટે વધુ તકેદારી રાખી રહી છે. એર ઈન્ડિયાએ જાળવણી અને સંચાલનના કારણોસર તેની ફ્લાઈટ્સમાં 15%નો ઘટાડો કર્યો છે. આ જાહેરાત બાદ હવે રદ કરાયેલી ફ્લાઈટ્સનું નવું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 8 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ નિર્ણયની સીધી અસર અમદાવાદને પણ થઈ છે અને અમદાવાદથી દિલ્હી જતી AI 456 (બોઈંગ 321) રદ કરવામાં આવી છે.
સૂત્રના જણાવ્યા મુજબ અમદાવાદથી ઓપરેટ થતી અને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 456 (બોઈંગ 321) રદ કરવામાં આવી છે. જ્યારે અન્ય ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પુણેથી દિલ્હીની AI874, હૈદરાબાદથી મુંબઈની AI-2872 અને ચેન્નાઈથી મુંબઈની AI 571 પણ જાળવણી અને સંચાલનના કારણોસર રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય રદ કરાયેલી ફ્લાઈટ્સમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં દુબઈથી ચેન્નાઈની AI906, દિલ્હીથી મેલબોર્નની AI308, મેલબોર્નથી દિલ્હીની AI309, અને દુબઈથી હૈદરાબાદની AI2204નો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ગઈ તા. 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે 20 જૂનથી અમલમાં આવનારી ઇન્ટરનેશનલ સેવાઓનું સુધારેલું સમયપત્રક ટૂંક સમયમાં તેમની વેબસાઇટ પર શેર કરવામાં આવશે. ગઈકાલે આ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની 30થી 35 ફ્લાઇટ્સ આવતી-જતી હતી. જેમાં હવે કુલ 8 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.
એર ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ ઘટાડો 20મી જુનથી લાગુ પડ્યો છે. અને નવા શેડ્યુલનો અમલ ઓછામાં ઓછા જુલાઈના મધ્ય સુધી ચાલુ રહેશે. એર ઇન્ડિયાએ આ ઘટાડાને કારણે પ્રભાવિત મુસાફરોને ખાતરી આપી છે કે મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ્સમાં સમાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવશે.