અમદાવાદ પ્લેન ક્રેશ: 137 મૃતકોના DNA મેચ
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તાર નજીક 12મી જૂનના રોજ થયેલી એર ઇન્ડિયાની AI171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આ કામગીરી અંતર્ગત મૃત્યુ પામેલા 137 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલી FSLની કચેરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી... જેમાં IBના વડા, FSLના ડાયરેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, ગુજરાત FSL દિવસરાત સતત DNA પરીક્ષણની કામગીરી કરી રહી છે .
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના મેચ થયેલા DNA સેમ્પલના આધારે અત્યાર સુધીમાં કુલ 83 લોકોના પાર્થિવદેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. લોકલાડીલા નેતાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે, દરેક પરિવાર માટે એક ખાસ ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, એક પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે, જેઓ પરિવારજનોને જરૂરી સહાય અને ભાવનાત્મક આધાર પૂરો પાડી રહ્યા છે.