વાડીમાં વીજ કરંટથી સિંહનું મોત થયા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો, બેની ધરપકડ
- ગીર ગઢડાના મોહબતપરા ગામની સીમમાં બન્યો બનાવ,
- બંને આરોપીને સાથે રાખી વનવિભાગે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું,
- વન વિભાગે આરોપીના ઘરની તલાશી લેતા બન્ને ખેડૂત પરિવારજનો રડી પડ્યા
ગીર ગઢડાઃ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામમાં તાજેતરમાં રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સિંહનું વીજ કરેટથી મોત થયાનું જણાતા આ કેસમાં તપાસ કરીને મુકેશ વશરામભાઈ બળદાણીયા અને કમલેશ મગનભાઈ કલસરિયાની ધરપકડ કરી હતી. આરોપી મુકેશ બલદાણીયા અને કમલેશ કલસરિયાએ મગફળીના પાકને જંગલી ભૂંડથી બચાવવા માટે વાડીમાં વીજ કરંટ મૂક્યો હતો. દરમિયાન સિંહ વાડીમાં આવતા વીજ શોર્ટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ ટ્રેકટર ટ્રોલીમાં સિંહનો મૃતદેહ રાવલ નદીમાં ફેંકી દીધો હતો.
આ કેસમાં ઝડપાયેલા આરોપી મુકેશ વશરામભાઈ બળદાણીયા અને કમલેશ મગનભાઈ કલસરિયાને લઈને વન વિભાગની ટીમ નગડિયા ગામે પહોંચી હતી, જ્યાં સિંહનું વીજ કરંટથી મોત નીપજ્યું હતું. બંને આરોપીને સાથે રાખી વનવિભાગે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીઓના ઘરે પણ સર્ચ કર્યું હતું. વન વિભાગની ટીમને જોઈને આરોપીનો પરિવાર રડવા લાગ્યો હતો. વન વિભાગના આરએફઓ ઓ. એલ. બી. ભરવાડની આગેવાની હેઠળની ટીમે આરોપીઓની 15 વીઘા જમીનમાં આવેલી વાડી પર પંચનામું કર્યું હતું. આ વાડીમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને અહીં જ વીજ કરંટથી સિંહનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. તપાસ દરમિયાન PGVCLની ટીમ પણ વન વિભાગ સાથે જોડાઈ હતી. જે ટ્રેકટરમાં સિંહના મૃતદેહને નાખીને નદીમાં ફેંકવામાં આવ્યો હતો તેની પણ વનવિભાગે તપાસ કરી છે. બંને આરોપીને સાથે રાખી વનવિભાગે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું ઘટનાસ્થળની તપાસ બાદ વન વિભાગની ટીમે બંને આરોપી મુકેશ બળદાણીયા અને કમલેશ કલસરિયાને સાથે રાખી રાવલ નદી સુધી ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું હતું
એફએસએલ અને વન વિભાગની ટીમે આરોપીના ઘરે પહોંચીને સિંહનો મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટરની તપાસ કરી હતી. આ ટીમે લગભગ 20 મિનિટથી વધુ સમય સુધી ટ્રેક્ટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેક્ટરનો કબજો મેળવીને તેને જપ્ત કર્યું હતું
આરોપીઓએ વન વિભાગ સમક્ષ કબુલાત કરી હતી કે, મગફળીના પાકને જંગલી ભૂંડથી બચાવવા માટે વાડીમાં વીજ કરંટ મૂક્યો હતો. સિંહ વાડીમાં આવતા વીજ શોર્ટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું. વાડીમાં વીજ કરેન્ટથી સિંહના મોત બાદ સિંહના મૃતદેહને ટ્રેક્ટરની ટ્રોલીમાં મૂકીને રાત્રિના બે વાગ્યે નાગડિયાથી મોહબતપરા સુધી લગભગ 10 કિલોમીટર દૂર રાવલ નદીમાં ફેંકી દીધો હતો. વન વિભાગની તપાસમાં ટ્રેક્ટરના ટાયરના નિશાન સ્થળ પર જોવા મળ્યા હતા. આ નિશાનોને પગલે વન વિભાગે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓ સુધી પહોંચી હતી. તપાસ દરમિયાન ધોકડવા ગામના 30થી વધુ CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ ટ્રેક્ટર જોવા મળ્યું હતું, જેના કારણે સિંહના મોતના કેસની તપાસ નાગડિયા ગામ સુધી પહોંચી હતી.