અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 63મા જન્મદિવસની રેકોર્ડબ્રેક રક્તદાન સાથે ઉજવણી
અમદાવાદ, ૨૫ જૂન, ૨૦૨૫: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ૬૩મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા અદાણી ફાઉન્ડેશને ૨૪ જૂનના રોજ ૨૧ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦૬ શહેરોમાં રાષ્ટ્રવ્યાપી મેગા રક્તદાન ઝુંબેશનું આયોજન કર્યું હતું, જેમાં ગત વર્ષના ૨૫,૨૮૨ યુનિટના રેકોર્ડને પાર કર્યો હતો. સૌ પ્રથમ વખત આ મેગા રક્તદાન અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયુ જેમાં કોલંબોના CWIT પોર્ટ અને દાર-એ-સલામ પોર્ટ, તાન્ઝાનિયા ખાતે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અદાણી હેલ્થકેર ટીમના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલી આ પહેલમાં અદાણી ગ્રુપના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યુ હતું. ૨૭,૬૬૧ યુનિટ (લગભગ ૧૧,૧૦૦ લિટર) રક્તદાન અભિયાન થકી ૮૩,૦૦૦ થી વધુ દર્દીઓને લાભ મળશે. તેનાથી હોલ બ્લડ, પીસીવી, પ્લેટલેટ કોન્સન્ટ્રેટ્સ, પ્લાઝ્મા, એફએફપી, ક્રાયોપ્રિસિપીટેટ અને આલ્બ્યુમિન જેવા રક્ત ઘટકોથી જીવનરક્ષક સહાય મળશે.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે "હું અમારા અદાણી પરિવારનો આ સેવા કાર્યને મહત્વ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું, તમારી ઉદારતા અસંખ્ય લોકો માટે જીવનરક્ષક બનશે."
રેડ ક્રોસ બ્લડ બેંક અને સરકારી હોસ્પિટલો સાથે ભાગીદારીમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અદાણી ગ્રુપના 3000 થી વધુ ડોકટરો, પેરામેડિક્સ, ડેટા ઓપરેટરો અને વહીવટી કર્મચારીઓની ટીમે તેમાં ખભે-ખભો મીલાવીને સહયોગ કર્યો હતો.
૨0૧૧થી શ્રી અદાણીના જન્મદિવસ નિમિત્તે આ કવાયત વાર્ષિક પરંપરાનો ભાગ રહી છે. આ ઝુંબેશ ફાઉન્ડેશનના સમુદાય-આગેવાની હેઠળના કાર્ય અને પહેલ દ્વારા ગૌતમ અદાણીના "સેવા હી સાધના હૈ" (સેવા એ જ પૂજા છે) ના માર્ગદર્શક દર્શનનું સન્માન કરે છે. અદાણી ગ્રુપની બિન-લાભકારી શાખા સમુદાયોના સર્વસમાવેશક, સમાન અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.