અદાણી ફાઉ. દ્વારા અત્યાધુનિક પશુ આરોગ્ય વાનનું અર્પણ
મુન્દ્રા : અદાણી ફાઉન્ડેશન દ્વારા સુવિધા ગૌ સેવા કેન્દ્રને અત્યાધુનિક પશુ આરોગ્ય વાનનું અર્પણ કરવામાં આવ્યું, જે અબોલ જીવોની તાત્કાલિક સારવાર માટે મહત્વનું પગલું છે. આ કેન્દ્ર રતનભાઈ ગઢવીના નેતૃત્વ હેઠળ મુંદ્રા ખાતે છેલ્લા 7-8 વર્ષથી કાર્યરત છે, જ્યાં અકસ્માતમાં ઘાયલ અથવા બીમારીથી ત્યજાયેલા પશુઓની દિલથી સેવા અને સારવાર કરવામાં આવે છે. રતનભાઈ અને તેમની 15-20 સભ્યોની ટીમ આ કરુણામયી કાર્યમાં સતત યોગદાન આપે છે.
અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આ કેન્દ્રની શરૂઆતમાં ઘાયલ પશુઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે વાન આપવામાં આવી હતી. વર્ષ 2021માં પશુઓની સારવાર માટે શેડ બનાવવામાં આવ્યો હતો. આજે કરાયેલ અત્યાધુનિક પશુ આરોગ્ય વાનના અર્પણથી પશુઓની તાત્કાલિક સારવારની સુવિધા મુંદ્રા તથા મુંદ્રાની આસપાસના ગામોમાં વધુ મજબૂત બનશે. આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશી અને નગરપાલિકાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અદાણી ગ્રૂપના ઇ. ડી રક્ષિતભાઈ શાહે જણાવ્યું “અદાણી ફાઉન્ડેશન છેલ્લા 20 વર્ષથી જીવદયા અને સામાજિક કાર્યોમાં સતત યોગદાન આપે છે અને આવા ઉમદા કાર્યોમાં હંમેશા જોડાવા તત્પર રહેશે.” ઉપરાંત રક્ષિતભાઈ શાહે રતનભાઈની ગૌ સેવાની સરખામણી 108 ઇમરજન્સી સેવા સાથે પ્રશંસા કરી અને ફાઉન્ડેશનના સતત સહયોગની ખાતરી આપી. અનિરુદ્ધભાઈ દવેએ પ્રકૃતિ સંરક્ષણ, વૃક્ષારોપણ અને નદી સફાઈ જેવા કાર્યોને સમર્થન આપ્યું અને અબોલ જીવોની સેવા માટે અદાણી ગ્રુપ, રતનભાઈ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ગૌશાળાના પરિસરમાં તમામ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, અને વધુ વધુ વૃક્ષો વાવવાની નેમ લીધી હતી. અદાણી ફાઉન્ડેશન અને સુવિધા ગૌ સેવા કેન્દ્રનો આ સહયોગ અબોલ જીવોના કલ્યાણ માટેનું એક મહત્વનું પગલું છે, જે સમાજમાં જીવદયા અને પર્યાવરણ સંરક્ષણના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.