For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધોરાજી - જેતપુર હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 10 પ્રવાસીઓને ઈજા

05:50 PM Jun 02, 2025 IST | revoi editor
ધોરાજી   જેતપુર હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત  10 પ્રવાસીઓને ઈજા
Advertisement
  • ટેન્કર પલટી ખાતા તેલ ઢોળાયું અને લોકો વાસણો લઈને દોડી આવ્યા
  • અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો
  • ધોરાજી પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી

રાજકોટઃ જિલ્લાના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધોરાજી- જેતપુર હાઈવે પર ભૂતવડ ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટેન્કર રોડ પર પલટી જતા ખાદ્યતેલ ઢોળાતા આજુબાજુના ગામના લોકોએ ખાદ્યતેલ લેવા માટે વાસણો લઈને દોડી આવ્યા હતા. આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધોરાજી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રાજકોટથી પોરબંદર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા. ધોરાજી-જેતપુર હાઈવે પર ભૂતવડ ચોકડી નજીક સામેથી આવી રહેલા ખાદ્યતેલ ભરેલા ટેન્કર સાથે આ બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં ધોરાજી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને હાઈવે એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 10થી વધુ લોકો ઘાયલ હોવાથી અન્ય એમ્બ્યુલન્સની પણ મદદ લેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 5 લોકોને વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું અને રસ્તા પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ ગયું હતું. જેના કારણે ધોરાજી-રાજકોટ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ રસ્તા પર ટેન્કરમાંથી ઢોળાયેલું ખાદ્યતેલ લેવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. જોકે, પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.

આ અંગેની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર થયો અને કોની બેદરકારી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ગમખ્વાર અકસ્માતોને અટકાવવા માટે હાઈવે પર સુરક્ષાના પગલાં વધુ સઘન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement