અમદાવાદના ઠક્કરનગર બ્રિજ નજીક કારે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત, બેને ઈજા
- કારની ટક્કરથી બાઈકસવાર ત્રણ યુવાનો રોડ પર પટકાયા,
- અકસ્માત સર્જાયા બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર,
- પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના ઠક્કરનગર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે અર્ટિકા કારના ચાલકે પૂરફાટ ઝડપે આવીને એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બાઇક પર સવાર ત્રણ યુવાનો પૈકી એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં ઠક્કરનગર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. અર્ટીકા કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને મોટરસાયકલને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવાનો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે કારના નંબરના આધારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને મૃતક યુવાનની ઓળખ પ્રસ્થાપિત કરવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી છે.
આ ગમખ્વાર અકસ્માતને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના નિયમો અને બેફામ ડ્રાઇવિંગના જોખમ અંગે ચિંતા જગાવી છે.