For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના મોટા વરાછામાં ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનને ટક્કર મારતા મોત

04:57 PM Apr 29, 2025 IST | revoi editor
સુરતના મોટા વરાછામાં ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનને ટક્કર મારતા મોત
Advertisement
  • યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે લકઝરી બસે અડફેટમાં લીધો
  • લોકોએ લકઝરી બસના ડ્રાઈવરને પકડીને પોલીસ હવાલે કર્યો
  • પોલીસે બસચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતઃ શહેરમાં બેફામ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના મણકી મા ચોક ખાતે રોડ ક્રોસ કરી રહેલા એક 42 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને લકઝરી બસના ડ્રાઇવરને પણ ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે ઉત્રાણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

અકસ્માતના આ બનાવની વિગતો એવી છે કે, શહેરના મોટા વરાછા વિસ્તારમાં 42 વર્ષીય પ્રકાશ પ્રભાતભાઈ ઔડ પરિવાર સાથે રહે છે. પ્રકાશ ઘર નજીક આવેલા રામચોકની પાસેના મણકી મા ચોક ખાતે પગપાળા પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતાં સમયે પૂરપાટ ઝડપે આવેલી શ્રીરામ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસના ચાલકે પ્રકાશને અડફેટે લઈને કચડી નાખ્યો હતો. બસનું ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનારા બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

લોકોના ટોળાંએ અકસ્માત કરનારા ખાનગી બસના ચાલક સિધ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડ્યો હતો. અને પોલીસને હવાલે કર્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા બસનાં ચાલક સિધ્ધરાજ સિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement