પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કારથી કચડીને હત્યા કરી
- જામનગર નજીક બુલેટસવાર યુવાન પર કાર ચડાવી દીધી
- થારકારના ચાલકે પોલીસ સમક્ષ ષડયંત્રનો પડદાફાશ કર્યો
- પોલીસે થારના કારચાલક અને મૃતકની પત્ની સામે ગુનોં નોધી વધુ તપાસ હાથ ધરી
જામનગરઃ શહેર નજીક કાલાવડ હાઈવે પર વીજરખી ગામ પાસે કાર અને બુલેટ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટસવાર યુવાનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે તપાસ કરતા કાર ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું અને તેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કઢાવી નાખ્યાનું સામે આવતાં પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું હતું. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામનો 30 વર્ષનો યુવાન ગઈકાલે સમી સાંજના સમયે પોતાનું જીજે 27 ડી.જે 9310 નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન આશરે છ વાગ્યાના અરસામાં તેની પાછળ આવી રહેલી જી.જે.20 એ.ક્યુ. 8262 નંબરની થાર જીપના ચાલકે બુલેટ બાઈકને અડફેટે લેતા બુલેટ ચાલક રવિ મારકણાનું ગંભીર ઇજા થયા બાદ મોત નિપજ્યુ હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં આ અકસ્માતના બનાવમાં શંકા લાગતી હતી, અને બુલેટ ચાલક યુવાનને ઢસડ્યો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા. તેથી સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાને અટક કરીને તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો બનાવ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કારચાલક અક્ષય ડાંગરિયાએ આ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
થાર કારના ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, પોતે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમમાં છે, તેમાં પત્ની રીંકલે જ પતિ રવિ મારકણા બુલેટ લઈને નીકળે છે, તે પ્રકારનું લોકેશન આપ્યું હતું. અને જેના લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે ગઈકાલે સાંજે તેની હત્યા કરી નાખી હતી. થાર કારનો ચાલક અક્ષય ગઈકાલે સાંજે કાલાવડથી જામનગર તરફના માર્ગે બુલેટનો પીછો કરીને વીજરખી પાસે મોકો ગોતી અકસ્માત કરીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અને મૃતકની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું. જેથી આ સમગ્ર બનાવમાં પોલીસે કાર કબ્જે કરી લીધી છે, તેમજ મૃતક રવિના પિતા ધીરજલાલ મારકણાની ફરિયાદના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ સામે હત્યાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી કે જેણે પ્રેમમાં અંધ બની ગયા બાદ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. રીંકલના પ્રેમ સંબંધના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડા બાદ છુટાછેડા અપાયા હતા.