નખત્રાણામાં રાત્રે ટ્રકે ત્રણ વીજળી થાંભલાને ટક્કર મારતા ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો
- રાત્રિના સમયે વિજળી ગુલ થવાથી નગરજનોને ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો,
- વીજળીના થાંભલા તૂટી પડ્યા બાદ સવાર સુધી મુખ્ય બજારના ટ્રાફિક અવરોધાયો,
- ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી,
ભૂજઃ જિલ્લાના નખત્રાણા શહેરમાં વથાણ પાસેના વિસ્તારમાં મોડી રાતે એક ટ્રક ચાલકે બેફામ ગતિએ ટ્રક હંકારીને રસ્તા પરના ત્રણ વિજ પોલને ટક્કર મારતા ત્રણેય પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા. અકસ્માતને કારણે વિજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રાત્રિના સમયે વીજળી ગુલ થવાથી લોકોએ ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. લોકોની ઊંઘ પણ બગડી હતી. વીજ વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી અને લગભગ બે કલાકની મહેનત બાદ વિજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, નખત્રાણા શહેરમાં વથાણ પાસેના વિસ્તારમાં મોડી રાતે એક ટ્રક ચાલકે બેફામ ગતિએ ટ્રક હંકારીને રસ્તા પરના ત્રણ વિજ પોલને ટક્કર મારતા ત્રણેય પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા. જેના લીધે વીજ પુરવઠો ખોરવાયો હતો. રાત્રિના સમયે વીજળી ગુલ થવાથી લોકોએ ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં પડી ગયેલા વીજ પોલ રસ્તા પર આડા પડ્યા હોવાથી સવાર સુધી મુખ્ય બજારના માર્ગ ઉપર અવરોધ સર્જાયો હતો. આના કારણે લોકોની અવરજવરમાં પણ અસર પડી હતી. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વીજ તંત્ર દ્વારા અકસ્માત સર્જનારા અજાણ્યા ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નગરમાં આડેધડ વાહન ચલાવવાની ફરિયાદો પહેલેથી જ છે. સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસને આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક પગલાં લેવા અપીલ કરી છે.