ડીસામાં બનાસ નદી પર 23.33 કરોડના ખર્ચે નવો સબમર્સિબલ બ્રિજ બનાવાશે
- માલગઢ, વડાવળ સહિત 10 ગામોને લાભ થશે
- બ્રિજ બનતા 10 ગામોના લોકો ડીસા સાથે સીધા જોડાશે
- મુખ્યમંત્રીએ બ્રિજ પ્રોજેક્ટને આપી મંજુરી
ડીસાઃ તાલુકાના 10 ગામોના લોકોને ડીસા આવવા માટે સીધો કોઈ રસ્તો ન હોવાથી ફરીને આવવું પડે છે. આથી બનાસ નદી પર બ્રિજ બનાવવાની ઘણા સમયથી માગ કરવામાં આવતી હતી. ત્યારે ગુજરાત સરકારે બનાસ નદી પર રૂપિયા 23.33 કરોડના ખર્ચે સબમર્સિબલ બ્રિજ બનાવવાની મંજુરી આપી દીધી છે. આ બ્રિજ બનતા 10 જેટલા ગામના લોકો ડીસા પહોંચવામાં સરળ પડશે.
ગુજરાત સરકારે માલગઢ-ડોલીવાસ-ડીસા શહેરને જોડતા માર્ગ પર બનાસ નદી પર સબમર્સિબલ બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે. આ પુલ 23.33 કરોડના ખર્ચે બનશે. આ બ્રિજથી માલગઢ, કુંપટ, વડાવળ, વિડી, સાંડિયા, સોતમલા, ખેતવા, વાહરા, ડેડોલ અને ઢેઢાલ ગામના હજારો લોકોને સીધો લાભ થશે. હાલમાં આ ગામના લોકોને ડીસા પહોંચવા લાંબો રસ્તો કાપવો પડે છે. આનાથી સમય અને પૈસાનો વ્યય થાય છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ આ પ્રોજેક્ટનો વિગતવાર રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. સરકારે તેને મંજૂરી આપી દીધી છે. આ બ્રિજથી તમામ ગામો ડીસા શહેર સાથે સીધા જોડાશે. લોકોની મુસાફરી સરળ બનશે.
આ બ્રિજની ખાસ વિશેષતા એ છે કે તે ચોમાસામાં પણ કાર્યરત રહેશે. આનાથી આસપાસના ગામોનો ડીસા સાથેનો સંપર્ક જળવાઈ રહેશે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની સેવાઓ સુધી લોકોની પહોંચ સરળ બનશે. સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય પ્રવીણ માળીનો આભાર માન્યો હતો. આ બ્રિજ વિસ્તારના વિકાસમાં મહત્વનું સીમાચિહ્ન બનશે. લોકોના જીવનધોરણમાં સુધારો થશે. ડીસાવાસીઓ હવે પ્રોજેક્ટના ઝડપી અમલીકરણની રાહ જોઈ રહ્યા છે.