મહાકુંભમાંથી પરત ફરતી અમદાવાદના યાત્રાળુની લકઝરી બસે રાજસ્થાનમાં પલટી ખાધી
- રાજસ્થાનના કોસેલાવ ગામ નજીક સર્જાયો અકસ્માત
- 27 યાત્રાળુઓને ઈજા, 10 વર્ષિય બાળકનો હાથ કપાયો
- ઢાળ ઉતરતા બસની બ્રેક ફેલ થતાં બસએ પલટી ખાધી
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ગુજરાતમાંથી રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ ટ્રેન, ખાનગી લકઝરી બસો અને ખાનગી વાહનોમાં જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદથી મહાકુંભમાં ગયેલા યાત્રાળુઓની લકઝરી બસ પરત ફરતી હતી ત્યારે રાજસ્થાનમાં રાજસમંદ નજીક હાઈવે પર ઢાળ ઉતરતા બ્રેક ફેલ થતાં બસ પલટી ખાતા 27 યાત્રાળુઓને ઈજાઓ થઈ હતી. જેમાં 10 વર્ષિય બાળકનો હાથ કપાયો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં ગયેલા અને ત્યાંથી પરત ફરી રહેલા ગુજરાતના યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર 10 વર્ષીય બાળકનો હાથ કપાયો છે, જ્યારે અન્ય 27 લોકો ઘાયલ થતાં તેમને રાજસંમદ રિફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદમાં રહેતા અને ગોતા વિસ્તારમાં અંબિકા દાળવડાં નામે દુકાન ધરાવતા અમિતભાઈ ચંદેલ અને તેમનાં પરિવારજનો બસમાં પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હતા. બસમાં સવાર તમામ 48 યાત્રિકો તેના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તમામ પ્રવાસીઓ ઊઁઘી રહ્યા હતા. અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ચંદેલ પરિવારના પૈતૃક ગામથી 40 કિમી દૂર જ્યારે બસ હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં આ પહેલાં પણ અકસ્માત થઈ ચૂક્યા છે. તમામ યાત્રિકોએ પ્રયાગરાજથી પરત ફરી સાંવરિયા શેઠનાં દર્શન પણ કર્યાં હતાં. ત્યાર બાદ તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બસમાં સવાર તમામ એક જ વતનના ગામના હતા. બસમાં સવાર યાત્રિક આકાશ બોરાણાએ જણાવ્યું હતું કે બસમાં લોકો ઊંઘી રહ્યા હતા. કોઈને કંઈ ખબર જ ન પડી. ઢાળ ઊતરતા સમયે અકસ્માત થયો. બે બાળકોને ગંભીર ઈજા થઈ છે. અમિતભાઈ ચંદેલના પુત્ર ઓમનો જમણો હાથ કપાઈ ગયો છે, જ્યારે અન્ય ઘાયલોને રાજસમંદ લઈ જવામાં આવ્યા છે.