જામનગરમાં 12મી ફેબ્રુઆરીથી 5555 કુંડ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરાશે
- રિધમસ ફાઉન્ડેશનના ઉપક્રમે 9 દિવસનો મહામહોત્સવ યોજાશે,
- યજ્ઞ મહોત્સવ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા, ધર્મસભા,
- સંતો દ્વારા સત્સંગ અને માર્ગદર્શન, 9999 કિમી ભારત ભ્રમણ યાત્રા જે સંસ્કૃતિ અને એકતાની યાત્રા બની રહેશે,
જામનગરઃ રિધમસ ફાઉન્ડેશનના ઉપક્રમે 5555 કુંડ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ – 2026નું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવ જામનગરમાં ખંભાળિયા બાયપાસ, એરપોર્ટના સામેના મેદાનમાં તા. 12મીથી 20મી ફેબ્રુઆરી 2026 દરમિયાન ભવ્યાતિભવ્ય રીતે ઊજવાશે. 5555 કૂંડ અશ્વમેઘ મહાયજ્ઞ ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, અને વૈજ્ઞાનિક ચેતનાને ઊજાગર કરવાનું ધ્યેય છે. આ યજ્ઞ 5555 વર્ષો બાદ પુનઃ મહાભારતકાલિન દિવ્ય મૂહુર્ત પર યોજવામાં આવી રહ્યો છે.
સિધમસ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ એક યુગ પરિવર્તનનો આરંભ છે. જે આપણને સંસ્કૃતિથી સમાજ અને વિશ્વ કલ્યાણની તરફ લઈ જશે. 5555 કુંડ અશ્વમેઘ યજ્ઞ વિશ્વમાં સૌથી મોટા યજ્ઞનું આયોજન છે. 9999 કિમી ભારત ભ્રમણ યાત્રા જે સંસ્કૃતિ અને એકતાની યાત્રા બની રહેશે. રાષ્ટ્ર અને સમાજની એકતા માટે આ સામુહિક સાધના છે. 1240 પ્રધાન આચાર્યો અને પંડિતો દ્વારા સામુહિક મંત્રોચ્ચારથી સામાજિક ઊર્જા અને આધ્યાત્મિક જાગરણ પ્રાપ્ત થશે. 5555 યજ્ઞ કુંડમાં ઔષધિય આહુતિ એ પર્યાવરણ અને સ્વાસ્થ્યનો સમન્વય બની રહેશે.
આ યજ્ઞ મહોત્સવ સંસ્કૃતિ, સનાતન ધર્મ અને પર્યાવરણનો સમન્વય બની રહેશે. અને પર્યાવરણમુક્ત વાતાવરણ અને સકારાત્મક ઊર્જાનું નિર્માણ થશે. યજ્ઞ મહોત્સવ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા, ધર્મસભા, સંતો અને આર્ચાયો દ્વારા સત્સંગ અને માર્ગદર્શન, લોકકલા, સંગીત એવંમ્ નૃત્ય મહોત્સવમાં ભારતની વિવિધતાના દર્શન થશે. આ મહોત્સવનો હેતુ નવી પેઢીને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનો પણ છે. આ મહોત્સવમાં 6000 ટેન્ટ બનાવીને 25000 લોકોને રહેવાની વ્યવસ્થા કરવાનું આયોજન છે. ઉપરાંત સાત્વિક ભોજન એલઈડી સ્ક્રીન લાઈવ શો અને 24 કલાક મેડિકલ અને સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.