બુદ્ધિનું પ્રદર્શન, રેસ્ક્યુના વાહનો પાર્ક કરેલા હતા ને તૂટી ગયેલા ગંભીરા બ્રિજ પર દીવાલ ચણી દીધી
- ગાંધીનગરથી સુચના મળતા જ ઈજનેરે બ્રિજ પર તાત્કાલિક વોલ બનાવવા ઓર્ડર આપ્યો,
- રાતના સમયે બ્રિજ પર રેસ્ક્યુના પાર્ક કરેલા વાહનો જોયા છતાંયે દીવાલ બનાવી,
- હવે વાહનોને બહાર કાઢવા માટે દીવાલ તોડવી પડશે
વડોદરાઃ તાજેતરમાં પાદરા નજીક હાઈવે પરના મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ તૂટવાની ઘટનામાં 20ના મોત નીપજ્યાં હતો, જ્યારે એક યુવાનનો પત્તો હજી પણ નથી. આ દરમિયાન રવિવારે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના આવતા વડોદરા સર્કલના અધિક્ષક ઈજનેરે ગંભીરા બ્રિજ ઉપર તાત્કાલિક દીવાલ બનાવવાની સૂચના આપી દીધી હતી. જેના પગલે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને દીવાલ બનાવવા માટે રાતોરાત વ્યવસ્થા ઉભી કરી હતી. પુલ પર દીવાલ બનાવી દીધી પણ રેસ્ક્યુના વાહનો બ્રિજ પર હતા તેના હટાવાય નહીં, હવે વાહનોને હટાવવા માટે ફરી દીવાસ તોડવી પડશે,
તૂટી ગયેલા ગંભીરા બ્રિજ પર ગઈ રાત્રે દીવાલ તો બનાવી દીધી હતી. જેથી કોઈ અજાણ્યા વાહનચાલકો બ્રિજ પર આવી ન શકે, આ એક સારી બાબત છે, પણ બ્રિજ પર આડશરૂપી દીવાલ બનાવતી વખતે બ્રિજ પર પડેલા રેસ્ક્યુના વાહનો દેખાયા જ નહીં. રાહત અને બચાવ કામગીરી માટે બ્રિજની અંદર કેટલાક વાહનો હતા તે અંદર જ રહી ગયા નીચેના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓને જ ખુશ કરવા માટે કામગીરી કરતા હવે પસ્તાવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સરકારી ખર્ચ પણ માથે પડે તેમ લાગી રહ્યું છે. સરકારે એવો બચાવ કર્યો છે કે બીજા રાજ્યમાંથી આવતા વાહનો જીપીએસ સિસ્ટમથી ચાલતા હોવાથી આ માર્ગે ના આવી જાય તે માટે દીવાલ બનાવી છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે મુજપુર ચાર રસ્તા પાસે અનેક બોર્ડ સાવચેતીના મૂકવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ પોલીસ ચોકી પણ ત્યાં ઉભી કરાઈ છે જેથી કોઈ ખાનગી વાહનો અંદર ના જઈ શકે આટલી વ્યવસ્થા શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગે છે.