કચ્છના ગુનેરી ગામનો 32 હેકટર વિસ્તાર 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરાયો
- બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ
- કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું
- મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે, જે એક વિશિષ્ટતા છે
ગાંધીનગરઃ પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા 'કચ્છ'ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના 32.78 હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટ બોર્ડ દ્વારા 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરાવામાં આવ્યો છે,જે કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.
વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે સ્થિત 'ઇંનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ“ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “ તરીકે જાહેર કરવામાં આવી છે. મેન્ગ્રૂવ મુખ્યત્વે દરિયા કીનારે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં 24 કલાકમાં એકવાર પાણી આવીને જતું રહેતું હોય, જ્યાં સતત દલદલ એટલે કે કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી 45 કિ.મી.ના અંતરે અને કોરી ક્રીકથી 4 કિ.મીના અંતરે ગુનેરી ખાતે આવેલ મેંન્ગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ કે દલદલ નહી પણ સપાટ જમીન પર 32.78 હેક્ટર વિસ્તારમાં મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે,જે આપોઆપ એક વિશિષ્ટતા છે.જેથી આવી એક સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલ મેન્ગ્રૂવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ ખૂબ જરુરી છે.જેથી તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાની “ ઇંનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ “ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “-બી.એચ.એસ. તરીકે જાહેર કરવામા આવી છે.જેમાં ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મેનેજમેંટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે..
વધુમાં સ્થાનિકોના હક્ક અને વિશેષ અધિકારોનું સન્માન કરવામા આવશે. ઉપરાંત સ્થાનિકો,વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક વન અને આદીવાસી પ્રજાના ક્ષમતા વર્ધન તાલીમ દ્વારા બાર્યોડાયવર્સિટીનુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.