અમદાવાદ સહિત રાજ્યભરમાં 92 ટકા નકલી પનીરનું વેચાણ, મીઠાઈ-ફરસાણ એસોનો ઘટસ્ફોટ
- મીઠાઈ-ફરસાણના ધંધામાં 35 થી 40 ટકા નફો છતાંયે ભેળસેળ વધતી જાય છે,
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાતી નથી,
- ઘીમાં પણ મોટાભાગે ભેળસેળ કરવામાં આવતી હોય છે,
અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ભેળસેળના કેસો પકડાતા પણ હોય છે. ભેળસેળ અટકાવવા માટે કડક કાયદાની જરૂર છે. ત્યારે ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રમુખના કહેવા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં 92 ટકા પનીર નકલી હોય છે. નકલી હલકી કક્ષાના પનીરનું ઘૂમ વેચાણ થાય છે. વેપારીઓ વધુ નફાની લાલચમાં નકલી પનીર ખરીદીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.
ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનની પ્રથમ બેઠક ડાકોર ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરના વેપારીઓ ભેગા થયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને તેનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને થતા નુકસાન પર ચર્ચા થઈ હતી. એસોના પ્રમુખ કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું કે અમદાવાદ સહિતની હોટેલોમાં લોકો જે પનીર હોંશે હોંશે ખાય છે, તે મોટા ભાગે નકલી હોય છે. તેમણે કહ્યું કે, મીઠાઈ-ફરસાણનો ધંધો 35 થી 40 ટકા જેટલો નફાકારક હોવા છતાં, કેટલાક લોકો માત્ર પૈસાની લાલચમાં ભેળસેળ કરે છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે.
આ બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને વિનંતી કરવામાં આવી હતી કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે સખત પગલાં લેવા જોઈએ. એસોસિએશને માંગ કરી છે કે આવા ગુનેગારોને પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ કાર્યવાહી કરીને જેલભેગા કરવા જોઈએ. આ ઉપરાંત, તેમણે એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો કે જો કોઈ ખાદ્ય પદાર્થનો નમૂનો નિષ્ફળ જાય, તો તેની સજા દુકાનદારને બદલે સીધા વેપારીને થવી જોઈએ જે આ માલનો પુરવઠો કરે છે.
આ બેઠકમાં પનીર ઉપરાંત ઘીમાં થતી ભેળસેળ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ખાસ કરીને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘીમાં ભેળસેળ જોવા મળે છે, જે ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે. આ બેઠકના અંતે, ગુજરાતમાંથી આવેલા વેપારીઓએ ડાકોરના પ્રખ્યાત મંદિર પર ધજા ચઢાવી હતી અને રાજભોગની પ્રસાદીનો લાભ લીધો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.