ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની ભરતી કરાશે
- યુનિવર્સિટીઓમાં 31મી ડિસેમ્બર સુધીમાં ભરતી કરવા સુચના અપાઈ,
- કાયમી જગ્યાઓ ભરાશે નહિ તો પોસ્ટ રદ થઇ જશે,
- યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓને લીધે શિક્ષણ પર થતી અસર
અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની કાયમી જગ્યાઓ ભરવા સરકારે સૂચના આપી છે. યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓ 31 ડિસેમ્બર સુધીમાં ભરતી કરવાની રહેશે. સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની ભરતી કરવી પડશે. કાયમી જગ્યાઓ ભરાશે નહિ તો પોસ્ટ રદ થઇ જશે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પરિપત્ર કરીને જાહેરાત કરવામાં આવી છે. રાજય સરકાર હસ્તકની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં વખતોવખત મંજુર થયેલી શૈક્ષણિક – બિન શૈક્ષણિક હંગામી જગ્યાઓ તેમજ યુનિવર્સિટીઓમાં 2014ના સાતમા પગારપંચના ઠરાવથી મંજુર થયેલી કાયમી જગ્યાઓ પૈકીની જગ્યાઓ જે કર્મચારીના અવસાન, વય નિવૃતિ, રાજીનામુ, તેમજ સ્વેચ્છીક રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ કે જેને શિક્ષણ વિભાગના સ્પષ્ટ પરિપત્રો બાદ પણ ભરવામાં આવતી નથી. મંજૂર થયેલી કાયમી તેમજ હંગામી જગ્યાઓ નિયત સમયમર્યાદામાં ભરતી ન થતા અબેહેન્સમાં જાય છે તેમજ નવા પગાર પંચની અમલવારી સમય દરમિયાન નાણા વિભાગ દ્વારા ખાલી પડેલી જગ્યાઓને પગારપંચનો લાભ આપવામાં આવતી નથી. જેથી બાદમાં ભરતી તેમજ પગાર બાબતે ખુબજ વહીવટી મુશ્કેલીઓ પ્રશ્નનો ઉપસ્થિત થતા હોય છે. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નવા પગારપંચની અમલવારી બાબતે વહીવટી પ્રશ્નનો ઉપસ્થિત થતા હોવાથી સરકારના ઠરાવથી મંજુર થયેલી હંગામી- કાયમી જગ્યોઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને જગ્યાઓ ભરવા માટે સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી યુનિવર્સિટીઓમાં 800 જેટલા અધ્યાપકોની જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ પર અસર પડી રહી છે. કેટલીક યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની જગ્યાઓ પણ ખાલી છે. આ ઉપરાંત બિન શૈક્ષણિક જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી છે. હવે ખાલી જગ્યાઓ ભરવાની સરકારે મંજુરી આપી દીધી છે.