કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7ના મોત, 40 ઘાયલ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાત વ્યક્તિઓના જ ઘટના સ્થળે મોત થયાં હતા. જ્યારે 40થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના કેરા-મુદ્રા રોડ ઉપર મુસાફરો ભરેલી ખાનગી બસ પસાર થઈ રહી હતી. દરમિયાન એક ટ્રક સાથે ખાનગી બસ અથડાઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવમાં ઘટના સ્થળે જ સાત વ્યક્તિઓના કરુણ મોત થયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.જ્યારે મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી.
બીજી તરફ ઘટનાને લઈ પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધા છે,ટ્રક ચાલકનો વાંક હતો કે બસ ચાલકનો વાંક હતો તેને લઈ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ઘટના બનતાની સાથે જ ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા અને દૂર-દૂર સુધી વાહનોની લાઈનો લાગી હતી,પોલીસે તમામ મૃતદેહને ખસેડીને રોડ પરનો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે.